અમદાવાદઃ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા તેમના નાટકના એક સીનના વાઈરલ થયેલા વીડિયોને લીધે વિવાદમાં છે. નાટકના વાઈરલ વીડિયોમાં દેખાય છે કે, પતિ-પત્ની તાંબાના લોટામાં પાણી ભરીને ગાયત્રી મંત્ર બોલે છે ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયા (નાટકમાં પતિ) તેમાં દારૂની બોટલમાંથી દારૂ રેડતાં હોય છે. પત્ની એ તાંબાના લોટાનું દારૂનું મિશ્રણવાળું પાણી પીને ધમાલ મચાવે છે. આ વીડિયો માટે દર્શકોએ જણાવ્યું છે કે, વીડિયોમાં ગાયત્રી મંત્રનું અપમાન થાય તે રીતે તેનું ખોટું અર્થઘટન સિદ્ધાર્થ રાંદેરિયા (પતિ) કરે છે. લોકોએ માગણી કરી છે કે, આ મામલે સિદ્ધાર્થ રાંદેરિયા હિંદુ સમાજની માફી માગે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે, સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર છે, પણ તેમણે પોતાના નાટકમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન કરીને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે.