અમદાવાદઃ કોંગ્રેસ મોવડીમંડળે અંતે બે વર્ષ પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારીને તેમના સ્થાને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પસંદગી કરી છે. સોલંકી હોળાષ્ટક પૂરા થયા બાદ પદગ્રહણ કરશે. બે વર્ષમાં કોંગ્રેસના અનેક નેતાઓએ દિલ્હીમાં અનેકવાર વિવિધ નામની રજૂઆતો કરી હતી. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પછી વહેલીતકે પ્રદેશ પ્રમુખનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાશે એવી કાર્યકરો અપેક્ષા રાખતા હતા, પરંતુ ત્યાર બાદ એક વર્ષે નિર્ણય લેવાયો છે.
અર્જુન મોઢવાડિયાના કાર્યકાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી અને એ બંને ચૂંટણીમાં પક્ષનો નબળો દેખાવ-પરાજય થતાં તેમણે પણ જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપતો પત્ર હાઈકમાન્ડને મોકલી આપ્યો હતો.
ભરતસિંહે વર્ષ ૨૦૦૬થી ૨૦૦૮ સુધી પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. તેમની છબી કડક હેડમાસ્ટરની રહી હતી. કાર્યકરોને સતત વ્યસ્ત રાખવા ઉપરાંત કામની કડક ઉઘરાણી કરતાં હતા. સંગઠનને વાયબ્રન્ટ બનાવી શક્યા હતા. પરંતુ વર્ષ ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ જૂથ જે ભાજપથી અલગ પડયું તેમના સભ્યોને કોંગ્રેસની ટિકિટો આપવાનો જુગાર ઊંધો પડતા ત્યારે કોંગ્રેસનો પરાજય થયો હતો. આ પરાજયની જવાબદારી સ્વીકારી ભરતસિંહ સોલંકીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાનો ૨૦૦૮માં સ્વીકાર કરીને સિદ્ધાર્થ પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.