ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદે બિનગુજરાતી સી. આર. પાટિલ

Wednesday 22nd July 2020 06:35 EDT
 
 

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નવસારી બેઠકના મરાઠીભાષી સાંસદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અત્યંત નજીક ગણાતા સી. આર. પાટિલની નિમણૂક કરાઇ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સોમવારે સાંજે આ જાહેરાત કરી હતી. પ્રદેશ પ્રમુખ પદ માટે જેમનું નામ ક્યાંય ચર્ચામાં નહોતું એવા પાટિલની નિમણૂંકથી ગુજરાત ભાજપમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ પદે ઓગસ્ટ ૨૦૧૬થી જિતુ વાઘાણી સક્રિય હતા. હવે તેમના સ્થાને બિનગુજરાતીની નેતાની નિમણૂક કરાઇ છે. પોલીસ કોન્સ્ટેબલની નોકરીથી શરૂઆત કરનાર ચંદ્રકાન્ત રઘુનાથ પાટિલ આજે ગુજરાત પ્રદેશ પ્રમુખના હોદ્દા સુધી પહોંચ્યા છે. સી. આર. પાટિલે મંગળવારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો હતો.
ગુજરાતમાં અઢી દસકાથી શાસનમાં રહેલા ભાજપે જ્ઞાતિવાદી રાજકારણને હાંસિયામાં મુકવાનું શરૂ કર્યું હોય તેમ ધાર્મિક - લઘુમતી વર્ગમાંથી આવતા વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન પદ સોંપ્યા બાદ હવે ભાષાકીય લઘુમતી વર્ગનું પ્રતિનિધિત્વ કરતા પાટિલને પ્રદેશ પ્રમુખ પદે બેસાડ્યા છે. આ સાથે જ આઠ વિધાનસભાની પેટા ચૂંટણી અને પાલિકા - પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં તેની શી અસરો પડે છે તેના ઉપર સૌની નજર છે.

મોદીના નિકટવર્તી અને વિશ્વાસુ

મોદીના નિકટવર્તી અને વિશ્વાસુ તરીકે પાટિલ જાણીતા છે. મોદી સાથે તેમને છેક સંઘકાળનો સંબંધ છે. મોદી વડા પ્રધાન બન્યા બાદ તેમના વિદેશ પ્રવાસ, સત્કાર સમારોહોની મોટા ભાગની વ્યવસ્થા પાટિલ દ્વારા ગોઠવાતી આવી છે. મોદીના મતવિસ્તાર વારાસણીમાં પણ પાટિલને ચૂંટણી પ્રભારી જેવી મોટી જવાબદારી સોંપાઇ હતી. વર્તમાન સમયે પણ પાટિલ જ વારાસણીની બધી બાબતો સંભાળી રહ્યા છે. કોંગ્રેસે પાટીદાર હાર્દિક પટેલની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે. કોંગ્રેસની ચાલને માત આપવા ભાજપ પણ કોઇ પાટીદાર ચહેરાને આગળ કરે એવી ગણતરી વધુ એક વખત મોદી-શાહની જોડીએ ખોટી પાડી છે.

કાશીરામના રાજકીય વારસદાર

એક સમયે ગુજરાત ભાજપના સુપ્રીમો ગણાતા કાશીરામ રાણાનો હાથ પકડીને ભાજપમાં પ્રવેશ કરનારા સી. આર. પાટિલે આજે ૨૫ વર્ષ બાદ તેમની જગ્યા લીધી છે. ૧૯૯૫ બાદ પહેલી વખત દક્ષિણ ગુજરાતના રાજકીય આગેવાનને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિમણુંક અપાઇ છે. ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો ભારે દબદબો હોવાથી દક્ષિણ ગુજરાતના આગેવાનોને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી મળતી નથી એવો છુપો ગણગણાટ હંમેશાથી ચાલતો રહ્યો છે. ૧૯૯૫માં પ્રદેશ ભાજપની કમાન સુરતના સાંસદ કાશીરામ રાણાને સોંપાઇ હતી. હવે આ જવાબદારી તેમની જ આંગળી પકડીને ભાજપમાં આવેલા પાટિલને સોંપાઇ છે.
૨૦૦૯માં પાટિલ જિંદગીની પહેલી ચૂંટણી નવસારી લોકસભા બેઠક પરથી લડયા હતા. રાજકીય કારકિર્દીમાં સીધી લોકસભા ચૂંટણી લડયા હોય તેવા જુજ રાજકારણીઓમાં સી.આર. પાટિલનો સમાવેશ થાય છે. ૨૦૦૯ બાદ ૨૦૧૪માં તેઓ ફરી સુરત નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટાયા. ૨૦૧૯માં તેઓ સમગ્ર દેશમાં સૌથી વધુ ૬.૮૯ લાખ કરતાં પણ વધુ મતની સરસાઇ સાથે ચૂંટણી જીત્યા હતા.

પેટાચૂંટણી પહેલાં નવું પ્રદેશ માળખું

ભાજપ હાઇકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન મહારાષ્ટ્રીયન નેતાના હાથમાં સોંપીને ભાજપના નેતાઓને ચોંકાવ્યાં છે. પ્રદેશ પ્રમુખપદે પાટિલની નિયુક્તિ બાદ ટૂંક સમયમાં જ પ્રદેશનુંય માળખું રચાશે. અત્યાર સુધી ગોરધન ઝડફિયા, શંકર ચૌધરી, મનસુખ માંડવિયા સહિતના નામો પ્રદેશ પ્રમુખ માટે ચર્ચાઇ રહ્યા હતાં પણ સોમવારે અચાનક જ નવસારીના સાંસદ સી.આર. પાટિલનું નામ નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઘોષિત થતાં ખુદ ભાજપના નેતાઓ પણ અચંબામાં મૂકાયા હતાં. સૂત્રોના મતે, હવે હાઇકમાન્ડે જયારે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરી દીધી છે ત્યારે પેટા ચૂંટણી પહેલાં જ ભાજપનું પ્રદેશ માળખુ પણ રચાઇ જશે તેવી સંભાવના છે. જોકે, આ વખતે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થઇ શકે છે અને કેટલાંય દિગ્ગજ ગણાતાં નેતાઓના પત્તા કપાઇ શકે છે.
નવનિયુક્તિ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ બધાયને સાથે લઇને સંગઠનની રચના કરવી એ પડકારરૂપ બન્યું છે.

પાટિલ સામે પડકાર

મૂળ મહારાષ્ટ્રના વતની સી.આર. પાટિલની નિમણૂકથી ભાજપની નેતાગીરીથી માંડીને કાર્યકરો આશ્ચર્યચકિત છે કારણ કે તેમનું કાર્યક્ષેત્ર ભરૂચથી માંડીને વલસાડ અને ઉંમરગામ સુધીનું જ છે. તેમનો સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાતમાં કોઈ જ ખાસ પ્રભાવ નથી. તેથી તેમને માટે સમગ્ર ગુજરાતના ભાજપ કાર્યકરોને સાથે રાખવા કઠિન બનશે. બીજું, બિનગુજરાતીની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિમણૂકથી ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને કડવા અને લેઉવા પટેલોમાં પણ તેમની નિમણૂકથી ઉત્સાહ જણાતો નથી.
અન્ય પછાત વર્ગને અપેક્ષા હતી કે આ વખતે તેમની કોમ્યુનિટીમાંથી વગદાર નેતા તરીકે પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક મળશે. તેમની આશા પણ ઠગારી પુરવાર થઈ છે. ઉત્તર ગુજરાતમાં પાટિલ માટે પ્રભાવ પાથરવો કઠિન બની શકે છે. આ જ રીતે સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં પ્રભાવ પાડવો કઠિન બની શકે છે.
કોન્ગ્રેસ છોડીને ભાજપમાં આઠ વિધાનસભ્યો જોડાયા છે. આ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. તેમાંથી પાંચથી છ બેઠકો સૌરાષ્ટ્ર અને કચ્છની છે. તેમાં અબડાસા, મોરબી, ગઢડા, ધારી ને લીમડીની બેઠકનો સમાવેશ થાય છે.
આમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠેઆઠ બેઠક પર ભાજપને વિજય અપાવી શકે છે કે કેમ તે જોવું રહ્યું. આ સ્થિતિમાં વિધાનસભાની પેટા ચૂંટણી તેમની પહેલી મોટી કસોટી બની રહેવાની સંભાવના છે.
ત્રીજું, કોંગ્રેસે હાર્દિક પટેલને આગળ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની વોટબેન્કનો લાભ લેવા માટેનો વ્યૂહ ગોઠવી દીધો છે. ૨૦૧૭ની ચૂંટણી વખતનો હાર્દિકનો અનુભવ કોંગ્રેસને મદદરૂપ થઈ શકશે. તેની સામે પાટિલે એક સાવ જ અજાણી વ્યક્તિની જેમ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જવું પડશે. પરિણામે ભાજપને પેટા ચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં નુકસાન થાય તેવી દહેશત પણ ભાજપ કાર્યકર્તામાં છે.

નિમણૂકને આવકાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટિલની કરેલી નિમણૂકને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આવકારી હતી. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપ સારી પ્રગતિ કરશે અને સંગઠનનો વ્યાપ વધશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. વિદાય લઇ રહેલા પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ પણ તેમની નિમણૂકને આવકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter