ગાંધીનગરઃ નાણા પ્રધાન સૌરભ પટેલે મંગળવારે વિધાનસભામાં રાજ્યની આનંદીબેન પટેલ સરકારનું સૌપ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ ૧૮૪.૯૫ કરોડની પૂરાંતવાળું છે, જ્યારે બજેટમાં રૂ. ૮૦ કરોડનો નવો કરબોજ નાખવામાં આવ્યો છે. બજેટ મુજબ એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ), ગર્ભનિરોધક ગોળી, ઈસબગુલ, ઈમિટેશન જ્વેલરી સસ્તાં થશે. આ બજેટમાં ખેતી, મહિલા-બાળ વિકાસ, સામાજિક સુરક્ષા અને શિક્ષણ પર ખાસ ભાર મૂકાયો છે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક યોજનાનું કદ રૂ. ૭૯,૨૯૫.૧૧ કરોડ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, કેવડિયા ખાતે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ રૂ. ૯૧૫ કરોડ અને નર્મદા યોજના માટે રૂ. ૯૨૬ કરોડ ફાળવાયા છે, જ્યારે શિક્ષણ માટે રૂ. ૨૨,૭૮૭.૮૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં નર્મદા યોજના માટે કરાયેલી ફાળવણી અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ ફાળવણી અપૂરતી અને હાસ્યાસ્પદ છે. એટીએફ પર ટેક્સ ઘટાડવાની પણ તેમણે ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એટીએફને બદલે સીએનજી, પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જરૂર હતી.