ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ગામડાના સર્વાંગી વિકાસ માટે ‘વતન પ્રેમ યોજના’ જાહેર કરેલ છે. આ વતન પ્રેમ યોજના હેઠળ દાતાઓ પોતાના વતનમાં કોઈપણ સુવિધા ઊભી કરવામાં કુલ ખર્ચના ૬૦ ટકા રકમ અનુદાન તરીકે આપશે તો ૪૦ ટકા રકમ સરકાર ચુકવશે. સરકારની આ વતન પ્રેમ યોજનાનો અમલ કરવાથી ગ્રામ્ય કક્ષાએ રાજ્ય કક્ષાએ જે વિકાસ કાર્ય થઈ રહ્યા છે તેમાં ૬૦ ટકા રકમ દાતાઓના અનુદાન મળવાથી ગામડાના લોકોને પણ શહેર જેવી જ સુવિધાઓ મળશે.
આ વેતન પ્રેમ યોજના હેઠળ શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન, આંગણવાડી - મધ્યાહન ભોજનનું રસોડુ - સ્ટોરરૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાનગૃહ, વોટર રીસાયકલીંગની વ્યવસ્થા તથા ગટર, તળાવ બ્યુટીફીકેશન, એસ.ટી.સ્ટેન્ડ, રોલર એનર્જી સ્ટ્રીટલાઇટ અને પાણીના ટ્યુબવેલ-કુવાની-પાણીની ટાંકીની મોટર ચલાવવાનો સમાવેશ થાય છે.
ઉપરોકત કામોના નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે તેથી વધુ રકમનું દાન આપીને કામ કરાવી શકશે દાતાના રકમની સામે ખૂટતી ૪૦ ટકા રકમનું રાજ્ય સરકાર અનુદાન કરશે.