મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની તાજેતરની ચીન અને હોંગકોંગની પાંચ દિવસની વિદેશયાત્રા દરમિયાન ચીન અને ગુજરાત વચ્ચે આર્થિક અને સામાજિક સહકારની મહત્ત્વપૂર્ણ તકો સર્જાઈ છે. ગુજરાત સરકાર અને બિઝનેસ કમ્યુનિટી દ્વારા રૂ. ૩૦ હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ માટેના સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાનના વિદેશ પ્રવાસમાં સાથે જોડાયેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ માહિતી આપી હતી. હોંગકોંગમાં પણ વસતા ગુજરાતી સમાજે આ ગુજરાતના ડેલીગેશનનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ચીનની મુલાકાતના અંતિમ દિવસે ગુજરાત સરકારની નોડલ એજન્સી ઈન્ડેક્ષ્ટ-બી અને ચાઈના નેશનલ બિલ્ડીંગ મટિરિયલ ગ્રૂપ કોર્પોરેશન નામની ખાનગી કંપની વચ્ચે હોંગકોંગમાં ત્રણ મહત્વના કરાર થયા હતા. જેમાં એફોર્ડેબલ હાઉસિંગ, સોલાર પેનલ મેન્યુફેક્ચરીંગ અને બિલ્ડીંગ મટીરિયલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો સમાવેશ થાય છે.
ઇરાકમાં બંધક બનેલા કપડવંજના યુવકો સલામત પાછા ફર્યાઃ અમદાવાદના વટવાની કંપની દ્વારા ઇરાક મોકલાયેલા મશીનો સેટ કરવા એક વર્ષના કોન્ટ્રાક્ટ પર કપડવંજના બે યુવકો ૨૦ મહિના પહેલા ઇરાક ગયા હતા. જ્યાં એક વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેમના પાસપોર્ટ અને વિઝા લઈને તેમને કંપનીમાં જ બંધક બનાવવામાં આવ્યા હતા. જોકે ભારત સરકારની રજૂઆતોને પગલે તેમની કંપનીના માલિક પર દબાણ વધતા ત્યાંથી તેમને ગત સપ્તાહે પરત ભારત મોકલતા તેઓ સુરક્ષિત રીતે વતન પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પહોંચેલા ઇશ્વરભાઈ પટેલ અને જયંતીભાઈ વાળંદે જણાવ્યું કે, છેલ્લા કેટલાય મહિનાથી ઇરાકમાં આંકવાદીઓના હુમલા પણ વધી ગયા છે.
પોલીસે હોલના તાળા ન ખોલવા દેતાં યાદવે બહાર સભા કરીઃ આમ આદમી પાર્ટીના પૂર્વ વરિષ્ઠ નેતા અને પાર્ટીમાંથી નિષ્કાસિત કરાયેલા યોગેન્દ્ર યાદવે સ્વરાજ સંવાદ નામનું સંગઠન ઊભું કર્યું છે. આ માટે તેઓ દેશભરમાં ખાસ કરીને ‘આપ’ના જ કાર્યકરો સાથે સંવાદ સાધવા ફરી રહ્યા છે. ૨૫ મેએ યોગેન્દ્ર યાદવ અને પ્રો. આનંદકુમાર સ્વરાજ અભિયાન અંતર્ગત અમદાવાદ આવ્યા હતા. પરંતુ પાલડી ખાતેના મહેંદી નવાજ જંગ હોલનું તેમના કાર્યકરો દ્વારા બુકિંગ થયેલું હોવા છતાં પોલીસે સંમેલનના સમયે હોલનું તાળું જ ન ખોલવા ન દેતા યાદવ અને પ્રો. આનંદકુમારે કાર્યકરોને કાળઝાળ ગરમીમાં હોલની બહાર ખુલ્લામાં જ સંબોધ્યા હતા. યાદવે મોદી સરકારના શાસનના એક વર્ષની આકરી ટીકા કરતા જણાવ્યું કે, ખરેખર ગુજરાત મોડેલ કે જેને વિકાસના મોડેલ તરીકે પ્રસ્તુત કરાય છે તે ‘મોદી મોડેલ’ છે. એક વ્યકિતની વિકાસની એક એવી નીતિનું મોડેલ છે જેમાં ઘણા લોકોના ભોગે ખૂબ થોડા લોકોનો વિકાસ થાય છે.’
માર્ગ એકસ્માતમાં ૧૧ લોકોનાં મોતઃ મુંબઈથી સુરત પરત થતો પટેલ પરિવાર તથા નડિયાદથી મુંબઈ જતા મુસ્લિમ પરિવારનો સોમવારે વહેલી સવારે મહારાષ્ટ્રના તલાસરી નજીક ટેમ્પો ટ્રાવેલ્સ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં થતાં ટેમ્પો ટ્રાવેલ્સના દસ અને લક્ઝરીના એક પ્રવાસીનું ઘટનાસ્થળે મોત થયું હતું. સુરતના એલ.પી. સવાણી રોડ ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા પ્રવીણભાઈ પટેલ કાયમી વસવાટ માટે અમેરિકાના મીગ્ગેરી ખાતે રહેતા તેમના મોટા ભાઈ અક્ષત પટેલને ત્યાં જવાના હતા. તે માટે તેઓ સુરતના એલ.પી. સવાણી અડાજણ-પાલ વિસ્તારમાંથી ટેમ્પો ટ્રાવેલ્સમાં રવિવારે પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા. એરપોર્ટ પર પટેલ દંપતીને અમેરિકા જવા વળાવ્યા બાદ આ પરિવાર ટેમ્પો ટ્રાવેલ્સમાં સુરત આવવા રવાના થયો હતો. જ્યારે નડિયાદથી મુંબઈ જતા મુસ્લિમ હસન વહોરાનું પણ મોત થયું હતું.