ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું અવસાન

Tuesday 10th November 2020 04:04 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના સૌ પ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું રવિવારે અમદાવાદમાં અવસાન થયું હતું. તેઓ ૧૦૪ વર્ષના હતા. હિલ સ્ટેશન સાપુતારાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ઉપરાંત શક્તિપીઠ અંબાજી મંદિરના જૂના નાના મંદિરને યથાવત રાખીને નવું ભવ્ય મંદિર બનાવવા જેવી અનેક મહામૂલી ભેટ તેમણે આપી હતી. આઝાદી સમયના સેન્ટ્રલ રિલિફ કમિટીના સિનિયર એન્જિનયર અને ગુજરાત ટાઉન પ્લાનિંગ અને વેલ્યુએશનના વડા રહી ચૂકેલા અમદાવાદના જમનાદાસ પટેલે એન્જિનિયરિંગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી.
ખેડૂત પરિવારમાં જન્મ
સાણંદમાં ખેડૂત પરિવારને ત્યાં જન્મેલા જમનાદાસ પટેલે બૃહદ મુંબઇની એકમાત્ર ‘એન્જિનિયરિંગ કોલેજ ઓફ પૂના’માં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, પરંતુ કોલેજ કાળમાં ૧૯૪૪ વખતે ગાંધીજીએ કરેલા ‘ભારત છોડો’ એલાનથી પ્રેરણા લઇ અભ્યાસ છોડી આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા. વર્ષ ૧૯૪૭માં એન્જિનિયર થયા બાદ દિલ્હી સેન્ટ્રલ પી.ડબ્લુ.ડીમાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે તેમણે કામગીરી શરૂ કરી હતી. એ વખતે રાજઘાટ પર ગાંધી મંડપનું કામ ચાલતું હતું. આ કામનો બહિષ્કાર કરીને તમામ એન્જિનિયર અચાનક જતા રહ્યા હતા. આવા કપરા સમયે જાન્યુઆરી ૧૯૪૯ વખતે પંડિત
જવાહરલાલ નહેરુના કહેવાથી માત્ર ૧૫ દિવસમાં તેમણે આ કામ પૂરું કરાવ્યું હતું અને ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીએ તેમને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત સ્વતંત્રતા વખતે પાકિસ્તાનથી આવતા નિર્વાસિત પરિવારો માટે વાડજથી નવા વાડજ વચ્ચે કાચા મકાનો માટે વસાહતનો લાઈફમાં પહેલો પ્લાન બનાવી આપ્યો હતો. જેમાં ૧૫૦ પરિવારોને આશ્રય મળ્યો હતો.
રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં યોગદાન
આઇઆઇએમ અમદાવાદની ડિઝાઇન તૈયાર કરનારા લુઇ કહાને સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે પાંચ ફૂટ લાંબુ એક મોડલ બનાવ્યું હતું. આ પ્રોજેક્ટ પર તે સમયે કોઈએ બરાબર ધ્યાન આપ્યું ન હતું. જમનાદાસભાઈની નજર આ પ્રોજેક્ટ પર પડતાં સરકારને એક પત્ર લખ્યો અને ત્યાર બાદ રિવરફ્રન્ટને ધ્યાનમાં રાખી ૧૯૭૨ની આસપાસ એક કમિટી રચાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter