ગુજરાતનું ધબકતું જનજીવન થંભી ગયું: સજ્જડ બંધ

Wednesday 25th March 2020 08:13 EDT
 
 

અમદાવાદ: કોરોના વાઈરસ સામે તકેદારીના પગલાંરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના તમામ નાગરિકોને જનતા કર્ફ્યૂમાં જોડાવવા માટે અપીલ કરી હતી. સવારથી લઈને રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીમાં પોતાના ઘરમાં જ રહેવા માટે વડા પ્રધાને જનતાને જણાવ્યું હતું. દેશમાં નાગરિકો સુરક્ષિત રહે તે માટે ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ અને મેડિકલ ટીમને બિરદાવવા માટે રવિવારે સાંજે ૫.૦૦ વાગ્યે પાંચ મિનિટ માટે પોતાના ઘરની છત, બાલ્કની કે ઘરમાંથી જ થાળી, ઘંટડી કે તાળી વગાડવા વડા પ્રધાને જણાવ્યું હતું. વડા પ્રધાનની અપીલ અને કોરોના વાઇરસના ફફડાટને પગલે ગુજરાતમાં જનતા કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન થયું હતું. રાજ્યના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ સૂમસામ બની ગયા હતા. રોજ ભીડથી ધબકતાં બજારોમાં ચકલુંય ફરકતું નહોતું. દવાની દુકાનો, દવાખાનાં, દૂધ, કરિયાણા પેટ્રોલ પંપ અને જરૂરિયાતના સામાનની દુકાનો સિવાય તમામ દુકાનો-બજારો જડબેસલાક બંધ રહ્યાં હતાં. નાગરિકોએ પણ જનતા કર્ફ્યૂને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. ગંદકીથી ખદબદતા વિસ્તારોમાં કેમિકલથી રસ્તાઓની સાફસૂફીનું અભિયાન તંત્ર દ્વારા હાથ ધરાયું હતું. જોકે બહારગામથી જે લોકો આવ્યા તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ હોવાથી રઝળી પડયા હતા, તમામ મોલ પણ સજ્જડ બંધ રહ્યા હતા. અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં લોકો એકઠા થયા તો પોલીસે કડકાઈ બતાવી તેમને ઘરે જતા રહેવા સૂચનાઓ આપી હતી.
રવિવારે સાંજે પ.૦૦ વાગ્યે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત રાજનેતાઓ, રાજ્યની અનેક હસ્તીઓ અને પ્રજાજનોએ પોતાના ઘરની છત, બાલ્કનીમાં પરિવારજનો સાથે થાળી, ઘંટડી કે તાળી વગાડીને કોરોના સામે ૨૪ કલાક લડતાં દેશના સુરક્ષાકર્મીઓ અને મેડિકલ ટીમ સહિતનાને બિરદાવ્યાં હતાં.

ખાડિયામાં લોકોએ તાનમાં ગરબા ગાતાં ૪૧ની ધરપકડ

કોરોના વાઇરસ સામેની લડતના ભાગરૂપે વડા પ્રધાને રવિવારે આખો દિવસ જનતા કરફ્યૂ રાખવાની જાહેરાત કરી હતી અને સાથે સાથે હેલ્થ કર્મીઓ, મીડિયા કર્મીઓ અને પોલીસ વિભાગ સહિતના સરકારી કર્મીઓને સાંજે પાંચ વાગ્યે ઘરની બાલ્કની કે આંગણાંમાં રહી થાળી વગાડી તથા તાળી પાડી અભિવાદન કરવાની હાકલ કરી હતી. તેના અતિરેકમાં અમુક મંદિરોમાં પણ મહારાજો મોટા ટોળામાં ભેગા થઇ ઢોલ વગાડવા લાગ્યા હતા. અમદાવાદના ખાડિયામાં લોકો રોડ પર આવી ગયાં હતાં. ટોળાંએ થાળી અને ઢોલ વગાડી ગરબા ગાયા હતા. તેથી ખાડિયાના ૪૫ વ્યક્તિ સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો. ખાડિયાના રાયપુર પોલીસ ચોકી પાસે રવિવારે સાંજે પાંચ વાગ્યે ૧૯ મહિલાઓ અને ૨૦ જેટલા પુરુષો ઢોલ સાથે નીકળી પડયા હતા અને રોડ વચ્ચે ગરબા રમવા લાગ્યા હતા. આ જોઇ પોલીસ કર્મીઓએ તેમને ઘરે પાછા જવા સૂચનાઓ કરી હતી, પણ ટોળું એટલું ઉત્સાહમાં હતું કે પોલીસને પણ ગણકારી નહીં. પોલીસે લાઉડ સ્પીકર રાખીને જાહેરાત કરી અને ૧૪૪ ધારા લાગ્યાનું જણાવ્યું હતું છતાં લોકો ન જતાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. ખાડિયા પોલીસે આઇપીસી ૧૮૮, જીપીએ ૧૩૫ હેઠળ ગુનો નાંધી કાર્યવાહી હાથ ધરી છે. ખાડિયા પોલીસે જણાવ્યું હતું કે, ૪૧ જેટલા સ્ત્રી-પુરુષની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કહેવાય છે કે ટોળું ધીમે ધીમે ૫૦૦ જેટલા લોકોનું થઈ ગયું હતું.

થાળી વગાડતાં મધમાખીઓ વિફરી

નવસારીના આશાબાગ ચીકુવાડી વિસ્તારમાં કસ્તુરી એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં. ૪૦૪-બીમાં બંકીમચંદ્ર દિનકરાય નાયક (ઉ. વ. ૪૫) પરિવાર સાથે રહે છે. રવિવારે સાંજે તેમનો પરિવાર એપાર્ટમેન્ટ ટેરેસ પર થાળી વગાડવા માટે ગયો હતો. જેમાં અમીષાબહેન બંકીમચંદ્ર નાયક (ઉ. વ. ૩૪) તેમની નણંદ ભક્તિબહેન વશી, ભારતીબહેન દેસાઈ, હિયાન બંકીમચંદ્ર નાયક અને અન્ય રહીશો ધરવભાઈ દેસાઈ, સંજયભાઈ દવે, રાજેશ્રીબહેન વગેરે સામેલ હતા.
આ લોકોએ થાળી વગાડવાની શરૂ કરી અને જોરદાર અવાજ થયો જેના કારણે ટેરેસ પર આવેલા મધપુડાની અસંખ્ય મધમાખીઓ ગભરાઈ ગઈ અને મધપુડામાંથી બહાર આવવા લાગી. થાળી વગાડનારા ઉપર ઝૂંડમાં મધમાખીઓએ હુમલો કર્યો હતો. મધમાખીઓનાં ડંખથી તબિયત બગડવા લાગી. અમીષાબહેનને ચક્કર આવીને ઉલ્ટીઓ થઈ અને તેઓ બેભાન થઈને ઢળી પડયા. ચીસો સાંભળી અન્ય લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ અમીષાબહેનને મૃત જાહેર કર્યાં હતાં. ધરવ દેસાઈને ૪૫થી ૫૦ ડંખ વાગવાથી તેની હાલત ગંભીર બની હતી. બનાવ અંગે ટાઉન પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

પિતાએ પાઇલટ દીકરીને કહ્યું, દેશના કામમાં પાછી પાની ન હોય

ગુજરાતની દીકરી સ્વાતિ રાવલે જનતા કર્ફ્યૂના દિવસે ઇટાલીથી ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાવીને રાજ્ય અને દેશને ગૌરવ અપાવ્યું છે. ભાવનગરની સ્વાતિના પિતા એસ. ડી. રાવલે કહ્યું કે, સ્વાતિ એનસીસી એર વિંગમાં હતી ત્યારે ઓફિસરોએ તેની ક્ષમતાને ઓળખીને એક દિવસ અમને વડોદરા બોલાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે તમારી દીકરીમાં પાઇલટ બનવાની ક્ષમતા છે અને જો તમે રજા આપો તો અમે તેને આગળ લઇ જઇએ. વડોદરામાં પ્રાથમિક તાલીમ બાદ તેનું શિક્ષણ રાયબરેલીમાં આવેલી ઇન્દિરા ગાંધી ઉડ્ડયન એકેડમીમાંથી થયું. ૨૦૦૬માં તેની ટ્રેનિંગ પૂરી થઈ અને એર ઇન્ડિયાએ તેને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ સિલેક્ટ કરી લીધી. જ્યારે ઇટાલી જવાની વાત થઇ  ત્યારે મેં એક જ વાત કીધી એેને કે દીકરી દેશનું કામ હોય ત્યારે પાછી પાની ન હોય. જે પણ કરવું પડે તે કરવાનું જ હોય.

સોશિયલ મીડિયા પર મસ્તીની છોળો

કોરોના વાઈરસના પગલે જનતા કર્ફ્યૂને બહોળો પ્રતિસાદ મળ્યો તો ઘરમાં હળવી પળો માણતાં લોકોએ સોશિયલ મીડિયામાં રમૂજી મેસેજનો મારો ચલાવ્યો હતો. સોશિયલ મીડિયા પર મોજમજા કરાવી ગયેલાં કેટલાંક વાક્યો અહીં ટાંક્યાં છે.
• મોદીએ સાંજે ૫.૦૦ વાગે ૫ મિનિટ સુધી થાળી, ઘંટડી વગાડવાનું કહ્યું છે, પણ આ તો અડધો કલાકથી મંડયાં છે, શું આ વગાડી વગાડીને કોરોનાને બહેરો કરી મારવાનો છે?
• જનતા કર્ફ્યૂ રાતે ૯ વાગ્યા સુધી છે, પણ પછી ભારત વર્લ્ડકપ જીતી ગયું હોય એમ બહાર નીકળી ના પડતા
• છેલ્લા ૨૪ કલાકમાં પોલીસ કેસ-૦, ચોરી-૦, હત્યા-૦, એક્સીડન્ટ-૦ પણ પતિ-પત્નીના ઝઘડા-૮૫,૩૪૪
• આ થાળીઓ અને તાળીઓના અવાજો પરથી લાગતું નથી કે ૨૦૨૩માં પણ કોંગ્રેસ આવે!
• આજે રખડતા કૂતરા વિચારતા હશે કે માણસોને આજે કોર્પોરેશનવાળા પકડી ગયા લાગે છે
• અમારી સોસાયટીમાં તો એવી થાળી વગાડી કે ૪ બાયુંને માતાજી આવી ગયા બોલો
• સમય જ બળવાન... ભૂકંપ વખતે કોઈ ઘરની અંદર જવા તૈયાર નહોતું આજે કોઈ ઘરની બહાર જવા તૈયાર નથી.
• કોઈની ઉઘરાણી બાકી હોય તો આજે મોકો છે. ભાઈ ઘરે જ મળશે.
• જીસકો માસ્ક બાંટના હૈ વો તાલી બજા રહા હૈ, જીનકો તાલી બજાના હૈ, વો માસ્ક બાટ રહે હૈ
• રોડ ઉપર ભૂલથી પણ ઈંગ્લિશ ના ફાડતા એનઆરઆઈ સમજીને ઉઠાવી જશે
• રાજકોટમાં લોહીથી લથપથ માસ્ક જોયા પછી ખડભડાટ થયો. તપાસ બાદ આરોગ્ય ટીમે ચોખવટ કરી કે આ લોકોએ મસાલા ખાધા પછી યાદ જ નથી રાખ્યું કે એમણે માસ્ક પહેર્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter