ગાંધીનગરઃ કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન – ૬.૦ અને અનલોક – ૧.૦માં ગુજરાતમાં ઘણા વેપાર – વ્યવસાય ખોલવાની મંજૂરી મળી છે. જોકે ગુજરાતે આ સમયમાં ઘણો મોટો આર્થિક ફટકો ભોગવવો પડ્યો છે અને ભવિષ્યમાં પણ હાલત સારી થતાં ઘણો સમય નીકળે એવું નિષ્ણાતો જણાવે છે. આ બધા વચ્ચે બંધ પડેલા વેપાર - ઉદ્યોગને તેમજ સમગ્ર અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચોથી જૂને રાત્રે રૂ. ૧૪ હજાર કરોડનું એક રાહત પેકેજ જાહેર કર્યું હતું. સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી તેઓએ આ આત્મનિર્ભર પેકેજની ઘોષણા કરી હતી.
આ પેકેજમાં નાના મોટા ઉદ્યોગો સહિત તમામ પ્રકારના લોકોને અનેક પ્રકારની છૂટછાટો તેમજ રાહત-સહાયની જાહેરાત કરાઈ છે. ઉદ્યોગોને વિવિધ પ્રોત્સાહક સબસીડી, કેપિટલ તથા વ્યાજમાં માફી અપાઈ છે. વેટ તથા જીએસટીમાં પણ કેટલીક છૂટ આપી છે. વેપારીઓને લેવાનું થતું રીફંડ પણ જલદીથી ચૂકવી અપાશે. તેવું મુખ્ય પ્રધાને કહ્યું હતું. તેમણે કહ્યું કે, આદિવાસી ખેતમજૂરો તેમજ ખેડૂતો અને કૃષિ માટે પણ ઢગલાબંધ સહાય અપાશે.
આ પેકેજમાં મહિલાઓ સહિતના લોકો માટે સ્વરોજગારીનું નિર્માણ થશે. ખૂબ જ સરળતાથી ઓછા વ્યાજની લોન મળશે. નાગરિકો તથા ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્ષમાં, વીજળીના બિલમાં પણ માફી અને રાહતો આપી હોવાનું જણાવાયું છે. પરિવહન ક્ષેત્ર ફરીથી બેઠું થાય તે માટે છ મહિનાનો રોડ ટેક્સ પણ માફ કરાયો છે. હાઉસિંગ સેકટરને વેગ આપવા સબસીડી જાહેર કરાઈ છે. આ પેકેજમાં સૌથી વધુ ધ્યાન નાના, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો પર અપાયું છે. શ્રમિકો માટે પણ લાભદાયી યોજનાઓ છે.
રૂપાણી સરકારનું આત્મનિર્ભર પેકેજ
• રૂ. ૨૩૦૦ કરોડ - પ્રોપર્ટી ટેક્ષ, વીજ બિલ અને વાહન કરમાં માફી અને રાહતો
• રૂ. ૩૦૩૮ કરોડ - ઉદ્યોગ વ્યવસાય માટે પ્રોત્સાહક સબસીડી
• રૂ. ૪૫૮.૫૯ કરોડ - ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન
• ૧૦૦૦ કરોડ - હાઉસિંગ સેક્ટરમાં સબસીડી સહાય
• રૂ. ૧૧૯૦ કરોડ - કૃષિ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ
• રૂ. ૫૦૪૪ કરોડ - અન્ય રાહતો