ગુજરાતમાં આંદોલન ઉગ્ર બનશે, બેરિકેડ તોડી ગાંધીનગરનો ઘેરાવ કરશુંઃ ટિકૈત

Thursday 08th April 2021 05:02 EDT
 
 

ગાંધીનગરઃ ‘ગુજરાતના ખેડૂતો ડરેલા છે. જબરજસ્તી ખોટું બોલાવાય છે. આ ડર દૂર કરવા અહીં આવ્યો છું.’ સોમવારે સાબરમતી ગાંધી આશ્રમથી ગુજરાત પ્રવાસનો આરંભ કરતાં સંયુક્ત કિસાન મોરચાના રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતવિરોધી ત્રણ કાયદાઓ પાછા ખેંચવા ગુજરાતમાં આંદોલન ઉગ્ર બનાવાશે. બેરિકેડ તોડીને ગાંધીનગરનો ઘેરાવ કરીશું. ટ્રેકટરનો ઉપયોગ માત્ર ખેતી માટે જ નથી. આંદોલનમાં પણ તેની તાકાતનો પરચો દેખાડાશે. આશ્રમથી આગળ વધેલી યાત્રામાં સોમવારે રાકેશ ટિકૈતે કરમસદ, વડોદરા અને બારડોલીમાં ખેડૂતોને સંબોધ્યા હતા.
ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીનો પડાવી લેવાઈ છે તેવી જ રીતે સમગ્ર દેશમાં છીનવાઈ રહી છે. ગુજરાતમાં ખેડૂતોને પણ અનેક પ્રશ્નો છે. બળજબરીપૂર્વક તેમની પાસે ખોટુ બોલાવાય છે. ત્રણ રૂપિયે કિલો બટાકા મળવાની વાત છે, એટલામાં તો ગોબર પણ આવતું નથી. તો ખેડૂત શું કમાશે?
બનાસકાંઠામાં ખેડૂતો સાથે સંવાદ કરીને આવેલા રાકેશ ટિકૈતે સાબરમતી આશ્રમમાં મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાના ઘટનાક્રમ સંદર્ભે કહ્યું કે, ‘ભાજપના નેતાઓ ભવિષ્યમાં સાબરમતી નદી અને ગાંધી આશ્રમના નામ પણ બદલી શકે છે. પાંચ મહિનાથી દિલ્હીમાં શાંતિપૂર્વક આંદોલન ચાલી રહ્યું છે. ભાજપમાં અમારા કારણે ભય ફેલાઈ રહ્યો છે.’
સાંજે બારડોલીમાં કિસાન સંવાદ કાર્યક્રમમાં તેમણે ‘આ ખેડૂતો છે, શાહિનબાગ નથી’ એમ કહેતા ઉમેર્યું હતું કે ‘ગુજરાતનો ખેડૂત બંધનમાં છે એટલે આંદોલનમાં જઈ શકતો નથી. શાંતિ હોય કે ક્રાંતિ માંગણીઓ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter