ગુજરાતમાં કૂદકે ને ભૂસકે વધતો કોરોનાઃ પોઝિટિવ કેસનો કુલ આંક ૩૨૬૪૩

Tuesday 30th June 2020 15:02 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૨૬૪૩, મોતનો કુલ આંક ૧૮૪૮ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૨૩૬૭૦ સુધી પહોંચી ગયો હોવાના અહેવાલ ૩૦મી જૂને હતા. ૩૦મી જૂને રાજ્ય આરોગ્ય તંત્રએ અહેવાલ આપ્યો કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ ૬૨૦ કેસો નોંધાયા હતા. જ્યારે ૨૦ દર્દીઓનાં મોત થયાં હતા અને ૪૨૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. ૩૦મીના અહેવાલ પ્રમાણે છેલ્લા ૪ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના ૨૦૦૦ કેસ નોંધાયા હતા. સુરતમાં ૨૯મીએ પ્રથમવાર કોરોનાના કેસ ૨૦૦ની સપાટી વટાવતાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૬ નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો હતો.
ગુજરાતમાં સૌથી ઓછા ટેસ્ટ
ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે, પણ તેનાથી વિરોધાભાસ રીતે કોરોના ટેસ્ટનો ગ્રાફ હજુ પણ નીચે જ છે. ગુજરાતમાં ૩.૭ લાખ જેટલા કોરોના ટેસ્ટ થયાં છે. તામિલનાડુમાં સૌથી વધુ ૧૦ લાખથી વધુ કોરોના ટેસ્ટ થયાં છે.
તામિલનાડુ દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં ૧૦ લાખથી વધુ કોરોના ટેસ્ટ થયા હોય. તામિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ કેસની સંખ્યા સતત વધી રહી હોવા છતાં તેમણે ટેસ્ટ ઉપર કાપ મૂક્યો નથી. મહારાષ્ટ્રમાં કુલ કેસનો આંક ૧.૬૪ લાખથી વધુ છે જ્યારે ત્યાં ૯.૩ લાખનાં ટેસ્ટ થયાં છે. એક અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૯માં મહારાષ્ટ્રની વસતી ૧૨.૨૧ કરોડ છે. આમ, મહારાષ્ટ્રમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૭.૬ હજારથી વધુ ટેસ્ટ થયાં છે. કોરોનાના સૌથી વધુ કેસમાં દિલ્હી ૮૩ હજારથી વધુ સાથે બીજા સ્થાને છે. દિલ્હીમાં પાંચ લાખ ટેસ્ટ થયાં છે. ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૯ પ્રમાણે ૬.૧૯ કરોડની વસતી છે. આ સ્થિતિએ પ્રતિ ૧૦ લાખની વસતીએ ૫૩૪૮ વ્યક્તિના ટેસ્ટ થયા છે. ભારતમાં ૨૭ જૂનના અહેવાલ પ્રમાણે જોઈએ તો કુલ ૮૨.૨૭ લાખ ટેસ્ટ થયાં છે. ભારતમાં જે કુલ ટેસ્ટ થયાં છે તેમાં ગુજરાતનું પ્રમાણ ૪ ટકાથી પણ ઓછું છે. ગુજરાતમાંથી અમદાવાદમાં સૌથી વધુ ૧.૩૧ લાખ ટેસ્ટ થયાં છે અને તેની સામે કુલ કેસનું પ્રમાણ ૨૦૪૮૦ છે. આમ, અમદાવાદમાં પ્રતિ ૧૦૦ ટેસ્ટમાંથી ૧૫થી વધુ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાય છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી સૌથી વધુ ટેસ્ટમાં સુરત બીજા, વડોદરા ત્રીજા, જૂનાગઢ ચોથા અને ભાવનગર પાંચમાં સ્થાને છે.
કેન્દ્રના સંયુક્ત સચિવે ઉધડો લીધો
અમદાવાદમાં કોરોના મહામારી બાદ સ્થિતિનો તાગ મેળવવા આવી પહોંચેલી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સામે મહાપાલિકાના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર સહિત અન્યોની પોલ ખૂલી ગઈ હતી. સંયુકત સચિવ લવ અગ્રવાલે પૂછેલા સામાન્ય સવાલોના પણ સંતોષકારક જવાબ પાલિકા અધિકારીઓ આપી ન શકતાં આ અધિકારીઓનો લવ અગ્રવાલે જાહેરમાં ઉધડો લઈ નાંખ્યો હતો. જોકે એ પછી પાછળથી મીડિયાને દૂર કરાયું હતું.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થતિ વિશે જાણવા લવ અગ્રવાલ સહિતની ટીમે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. ગોતામાં વસંતનગર ટાઉનશિપ ઉપરાંત ઘાટલોડિયા વિસ્તારમાં લક્ષ્મણગઢના ટેકરા સહિતના વિસ્તારોની મુલાકાત ટીમે લીધી હતી. દરમિયાન ટીમ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પહોંચી હતી.
આ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પહોંચી લવ અગ્રવાલે મ્યુનિપાલિટીના આરોગ્ય અધિકારી સહિત હાજર અધિકારીઓને પૂછયું કે, આ વિસ્તારમાં પહેલો કેસ કઈ તારીખે નોંધાયો હતો? આ સવાલનો જવાબ પાલિકાના આરોગ્ય અધિકારી મોબાઈલમાં શોધી રહ્યા હતા. આ સમયે હાજર અધિકારીઓ દ્વારા અલગ-અલગ તારીખ દર્શાવાતાં સંયુકત સચિવ ગુસ્સે ભરાયા હતા.
તેમણે કહ્યું કે, તમે મારો સમય ખરાબ ન કરો. તમને એ પણ ખબર નથી કે પહેલો કેસ કઈ તારીખે નોંધાયો હતો? દરમિયાન હાજર પૈકી કોઈએ તારીખ કહેતાં ફરી તેમણે કહ્યું કે આટલા કેસ નોંધાયા પછી પણ આ વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં વાર કેમ લાગી? એ પછી એક સાથે ત્રણ લોકો વિવિધ માહિતી આપવા લાગતાં તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કોઈ એક જ ડેટા આપો. સમય ન બગાડો.
પ્રાઇવેટ લેબ વધુ પૈસા ખંખરશે તો તાળું વાગશે
કોવિડ-૧૯ના ટેસ્ટ માટે તબીબોની ભલામણને આધારે પ્રાઇવેટ લેબોરેટરીઓને મંજૂરી આપ્યાના બીજા સપ્તાહે સરકારે ટેસ્ટ માટે વસૂલવામાં આવતા રૂ. ૪૫૦૦ના ચાર્જમાં ઘટાડો કરીને રૂ. ૨૫૦૦ કરવા આદેશ કર્યો છે. આ નિર્ણયનો અમલ ૨૫મી જૂનથી કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, નક્કી કરેલી રકમથી વધુ ચાર્જ વસૂલનાર પ્રાઇવેટ લેબને માન્યતા રદ થશે.
કોરોના વાઇરસના નિદાન માટે પ્રાઇવેટ લેબને ઇ-ટેસ્ટિંગની મંજૂરી બાદ રોજના ૫૦૦ આસપાસ ટેસ્ટ થાય છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, પ્રાઇવેટ લેબ રૂ. ૨૫૦૦થી વધુ એક પૈસો લઈ શકશે નહીં. હા, જો ઘરેથી કે હોસ્પિટલમાંથી દર્દીના સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો હોય તો તેવી સ્થિતિમાં વધુમાં વધુ રૂ. ૩૦૦૦ ચાર્જ લઈ શકાશે. પ્રાઇવેટ લેબ રૂ. ૪૫૦૦નો ચાર્જ લઈ રહી હોવાની રજૂઆત અને હાઇ કોર્ટના માર્ગદર્શન મુજબ ટેસ્ટિંગ ચાર્જિસ ઓછા કરવા મુખ્ય પ્રધાનના અધ્યક્ષપદે મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો હતો. જેનો અમલ ૨૫મીથી જ શરૂ થઈ થવાનું જાહેર કરાયું હતું. જો કોઈ લેબ દ્વારા વધુ ચાર્જિસ વસૂલાતની રજૂઆતો કે ફરિયાદો મળશે તો માન્યતા પણ રદ થઈ જશે.

વિવાદાસ્પદ ધમણને આખરે અપગ્રેડ કરાયું

વિવાદોમાં રહેલા ધમણ વેન્ટિલેટરને અપગ્રેડ કરાયાં છે. સિવિલ, સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ ૫૭ ધમણ વેન્ટિલેટરમાં ૩ એસેસરીઝ ઉમેરાઈ છે. અમદાવાદ - સોલા સિવિલના એનેસ્થેટિસ્ટ ડો. જે. સી. મકવાણાએ જણાવ્યું કે, કંપનીએ સોલા સિવિલ હોસ્પિટલમાં ૭ જેટલા ધમણ વેન્ટિલેટરને અપગ્રેડ કરવા માટે એર કમ્પ્રેસર, ફ્લો સેન્ટર અને હાઇફ્લો નેઝલ થેરાપી જેવી ત્રણ વસ્તુઓ નિ:શુલ્ક નાંખી છે. જેથી કોવિડના ક્રિટિકલ દર્દીની સારવારમાં સારાં પરિણામો મળી રહ્યાં છે. જૂના ધમણમાં હાઇ ફ્લો આપી શકાતો નહોતો. જેથી વેન્ટિલેટર જેવું કામ આપી શકતું નહોતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter