ગુજરાતમાં કોરોના કેસનો આંકડો એક દિવસમાં ૬,૫૦૦ને પાર

Wednesday 14th April 2021 04:33 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૬ હજારને વટાવી ગયો છે. મંગળવારે વિક્રમજનક ૬,૬૯૦ નવા કેસ નોંધાયા હતા અને ૬૭ દર્દીના મોત નીપજ્યા છે. આમાંથી સૌથી વધુ ૨૩ મૃત્યુ અમદાવાદમાં જ્યારે સુરતમાં ૨૨ મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં મહિનામાં સૌથી વધુ કેસ નોંધાવાનો સપ્ટેમ્બર-૨૦૨૦નો ૪૦,૯૫૯ કેસનો રેકોર્ડ એપ્રિલના ૧૨ દિવસમાં જ બ્રેક થઈ ગયો છે. માત્ર ૧૩ દિવસમાં જ ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા સાડા ત્રણ લાખને પાર પહોચી ગઈ છે અને મૃત્યુઆંક પણ ૫૦૦૦ નજીક પહોંચી ગયો છે. એક્ટિવ કેસ ૩૦ હજાર કરતાં વધુ અને નાજુક સ્થિતિ વાળા ૨૦૦થી વધુ દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં દૈનિક કેસનો આંકડો ૨ હજારને ઓળંગી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૯૨૨ મોત થયા છે. આજે વધુ ૨,૭૪૮ દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી ૩,૨૦,૭૨૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કુલ ૩૪,૫૫૫ દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે ૨૨૧ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
અમદાવાદમાં વિક્રમજનક કેસ
અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના વિક્રમજનક નવા ૨,૨૫૧ કેસ નોંધાયા હતા. કોવિડ-૧૯ના કારણે શહેરમાં વધુ ૨૩ દર્દીના મોત નિપજ્યાં હતા. અમદાવાદમાં દૈનિક કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એપ્રિલના ૧૨ દિવસમાં જ શહેરના દૈનિક કેસમાં ચિંતાજનક ૧,૨૯૬ કેસનો ઉછાળો આવ્યો છે. ૩૧ માર્ચે અમદાવાદ શહેરમાં ૬૧૧ કેસ નોધાયા હતા, જે ૨૦૦૦ને પાર ગયાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૨ હજારને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં શહેરના કુલ ૨,૪૦૧ નાગરીકોને કોરોના ભરખી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દૈનિક કેસની સંખ્યા ફેબ્રુઆરી માસમાં ૫૦થી પણ નીચે આવી ગઈ હતી. પરંતુ બાદમાં સંક્રમણ વધતાં આ સંખ્યામાં સતત વધારો થવા લાગ્યો છે. મોતની સંખ્યા પણ છેલ્લા કેટલાક દિવસથી ડબલ ડિજીટમાં નોંધાઈ રહી છે. કોરોનાના કુલ ૧૩ મહિનાના સમયગાળામાં એપ્રિલ માસમાં કોરોનાની રફ્તાર વધુ તેજ જોવા મળી છે.
ટકાવારીની દૃષ્ટીએ જોઈએ તો શહેરમાં ૩૧ માર્ચથી અત્યાર સુધીમાં દૈનિક કેસમાં ૨૧૨ ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ શહેરમાં સાજા થનાર દર્દીની સંખ્યા અને કેસની સંખ્યા વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. ટકાવારીની દૃષ્ટીએ ૧૩૭ ટકા વધુ કેસ નોધાઈ રહ્યાં છે. આમ રિકવર કરતાં દૈનિક કેસની સખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે જેના કારણે હોસ્પિટલોમાં બેડ પણ ફુલ થવા લાગ્યાં છે.
ચાલુ મહિને કેસમાં તોતિંગ ઉછાળો
એપ્રિલ મહિનામાં કોરોનાનો સિરિયલ બ્લાસ્ટ થયો છે. એપ્રિલના ૧૧ દિવસમાં જ ગુજરાતના દૈનિક કેસ નોધાવાના ગ્રોથમાં ૧૭૪ ટકાનો ચિંતાજનક વધારો થયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં ૪૮૯ ટકાનો ઉછાળો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગત ૩૧મી માર્ચે પાંચ જિલ્લાના મળીને માત્ર ૬૨ કેસ નોધાયા હતા જે ૧૧મી એપ્રિલે વધીને આ આંક ૩૬૫એ પહોચ્યો હતો. મહત્વનું છે કે, ટકાવારીની દૃષ્ટીએ ૮ મહાનગરો કરતાં ૩૩ જિલ્લાઓમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે. ૩૧મી માર્ચે નોધાયેલ કેસની સરખામણીએ ૧૧મી એપ્રિલના કેસની ટકાવારી જોઈએ તો ૩૩ જિલ્લામાં ૨૧૪ ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે ૮ મહાનગરોમાં ૧૦૪ ટકાનો ઉછાળો નોધાયો છે.
ગુજરાતમાં ૩૧મી માર્ચે કુલ ૨,૩૬૦ કેસ નોધાયા હતા, જે ૧૧મી એપ્રિલે વધીને નવા રેકોર્ડ સાથે ૫,૪૬૯ કેસ થયા હતા. આમ ૧૧ દિવસમાં ગુજરાતના દૈનિક કેસમાં ૩,૧૦૯નો એટલે કે, ૧૩૨ ટકાનો વધારો થયો હતો. રાજ્યના વિવિધ ઝોનની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં ૩૧ માર્ચે ૧૬૨ કેસ નોધાયા હતા જે ૧૧મી એપ્રિલે વધીને ૪૬૧ કેસ નોધાયા હતા, જેમાં ૧૮૫ ટકાનો વધારો થયો છે. મધ્ય ગુજરાતમાં ૧૬૭ કેસ નોધાયા હતા જે વધીને ૪૨૯ કેસ થતાં ૧૫૭ ટકાનો વધારો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૬૭ કેસ નોધાયા હતા જે વધીને ૫૧૩ કેસ થતાં ૨૦૭ ટકાનો વધારો નોધાયો છે. આ સિવાય અમદાવાદ જિલ્લામાં ૯ કેસ નોધાયા હતા જે વધીને ૨૮ થયા છે જ્યારે ગાંધીનગર જિલ્લામાં ૨૨ કેસ નોધાયા હતા જે ૧૧મી એપ્રિલે વધીને ૫૬ થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter