ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાથી મૃત્યુના દરમાં ઘટાડો જોવા મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છતાં મૃત્યુઆંકની દૃષ્ટિએ મુંબઈ બાદ અમદાવાદ બીજા ક્રમે હોવાથી ભય ફેલાયેલો ચોક્કસ જોવા મળે છે. ૧૯મી મેએ જાહેર થયેલા અહેવાલ પ્રમાણે રાજ્યમાં કોરોનાના કુલ ૧૨૧૪૧ કેસ નોંધાયા હતા. મૃતકોની સંખ્યા ૯૧૯ જેટલી નોંધાઈ હતી અને સારવાર લઈને સાજા થઈ ગયા હોય તેવા લોકોની સંખ્યા ૫૦૪૩ નોંધાઈ હતી. ૧૯મી સુધીના ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૩૯૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૨૫ દર્દીનાં મોત થયા અને ૨૩૯ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યાં હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉનના ચોથા રાઉન્ડમાં મોટાભાગની છૂટછાટ જાહેર કરી ત્યારબાદ થોડી મિનિટોમાં જ જાહેર થયેલાં રાજ્યમાં કોરોના કેસનો આંકડો ૧૮મી મેએ ચિંતાજનક રહ્યો હતો. નવા પોઝિટિવ કેસની સંખ્યામાં જોકે મોટો ઉછાળો આવ્યો નહોતો, પરંતુ સોમવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થયેલાં ચોવીસ કલાકના સમયગાળામાં ૩૫ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાના અહેવાલ હતા. આ સમયગાળામાં નવા ૩૬૬ પોઝિટિવ દર્દીનો આંકડો કુલ ૧૧,૭૪૫ પર પહોંચ્યો હતો. સોમવારે કોરોના કેસ અંગે જાહેર થયું કે, દૈનિક પાંચ ટકાના વૃદ્વિદર સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં જે ૩૫ મૃતકો હતાં તેમાંથી ૩૩ દર્દીઓને કોરોના સિવાય અન્ય કોઇ બીમારી ન હતી. ૨૨ દર્દીઓને સામાન્યથી લઇને ગંભીર બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદ મૃત્યુના કેસને લઇને હજું સંગીન સ્થિતિ ધરાવે છે કારણ કે આખા રાજ્યના ૩૫માંથી ૩૧ મૃત્યુ માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા. જોકે અહેવાલો પ્રમાણે રાજ્યમાં મૃત્યુદર નીચો ગયો છે અને તે ૫.૯૧ ટકા પર આવ્યો હોવાના અહેવાલ હતા. અગાઉ મૃત્યુદર છ ટકા કરતાં પણ વધી ગયો હતો.
પ્લાઝમા થેરાપી કારગત?
સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં પ્રથમ વખત ઓક્સિજન પર રહેલી મહિલા દર્દને બ્લડ પ્લાઝમા થેરાપી અપાઈ હતી. આ મહિલા દર્દી સાજાં થતાં તેમને એસવીપીમાંથી ૧૫મી મેએ રજા અપાઈ હતી. તેથી કોરોનામાં પ્લાઝમા થેરાપી કારગત છે? એ અંગે સંશોધન ચાલે છે.
આયુર્વેદિક તબીબોને કામ
રાજ્યમાં કોરોનાના કેસ વધતાં તમામ મેડિકલ એક્સપર્ટની મદદ લેવાઈ રહી છે. ખાસ અમદાવાદમાં કોરોનાથી મોત વધે છે ત્યારે સરકારે અમદાવાદ સિવિલ અને એસવીપીમાં આયુર્વેદિક તબીબો ફરજ પર બોલાવ્યાં છે.