ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક સ્તરેઃ કેસમાં વધારો નોંધાયો

Tuesday 25th August 2020 15:26 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં કોરાનાનાં કેસમાં ૨૫મી ઓગસ્ટે અચાનક વધારો નોંધાયો હતો. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૨૫મીના છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯૬ પોઝિટિવ કેસ નોંધાતા કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા ૮૮૯૪૨ થઈ હતી. આ દિવસે ૨૦ દર્દીનાં મોત થતાં કોરોનાથી ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૨૯૩૦ પહોંચ્યો હતો અને ૧૦૧૧ લોકોએ કોરોનાને હરાવ્યો હતો. સારા સમાચાર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર ૮૦.૧૨ ટકા થયો છે.
WHO દ્વારા ગુજરાત મોડલની પ્રશંસા
ગુજરાતમાં કોરોના નિયંત્રણ અંગે થયેલી કામગીરીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા પ્રસંશા કરાઈ હોવાના ૨૧મીએ અહેવાલ હતા. WHOના ૨૦ જેટલા અધિકારીઓએ તાજેતરમાં ગુજરાત સરકારના અધિકારીઓ સાથે વેબિનાર યોજીને ગુજરાતમાં થયેલી કામગીરીની માહિતી મેળવી હતી. સરકારે કરેલી કામગીરી ભારતના અન્ય રાજ્યો માટે ઉપયોગી સાબિત થાય તે માટે ડોક્યુમેન્ટેશન કરવાનું સૂચન કર્યું હતું.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંનું વિસ્તૃત પ્રેઝન્ટેશન WHOની ટીમ સમક્ષ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતની સક્સેસ સ્ટોરી પણ રજૂ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રોજિંદા ટેસ્ટની સંખ્યા વધી છે. ૨૫મી ઓગસ્ટે રાજ્યમાં ૭૨૫૭૭ ટેસ્ટ કરાયા હતા.
ગુજરાતમાં કુલ ૭૧૨૬૧ નાગરિકો કોરોનામાંથી સાજા થયાં છે. ૨૫મીની છેલ્લી સ્થિતિ મુજબ ૧૪૭૫૧ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૯ વેન્ટિલેટર પર રખાયા છે અને ૧૪૬૭૨ સ્ટેબલ ગણાવાયાં છે.
રાજકોટ યુનિ.ના કુલપતિ કોરોના સંક્રમિત
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિન પેથાણીનો રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી બે ડેપ્યુટી રજિસ્ટાર, પ્લાનિંગ ઓફિસર સહિત ૪ કેસ પોઝિટિવ હતાં. સોમવારે યુનિવર્સિટીમાં કુલ ૧૬ લોકો પોઝિટિવ આવતાં ભય ફેલાયો છે. સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ૧૪૭ લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં ૧૬ કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા.
પાંચ IASની સમિતિ તપાસ કરે
કોરોના મુદ્દે સુઓમોટો અરજીમાં હાઈ કોર્ટે ૨૪મી ઓગસ્ટે રાજ્ય સરકારના ચિફ સેક્રેટરીને આદેશ કર્યો હતો કે, રાજ્યની તમામ સિવિલ કે સરકારી હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી સુવિધાઓની સ્થિતિ શું છે, તે અંગે તપાસ કરવા માટે જોઈંટ કે એડિશનલ સેક્રેટરી સ્તરના ઉચ્ચ રેંકિંગ ધરાવતા પાંચ આઈએએસ અધિકારીઓની કમિટી બનાવો. આ કમિટી રાજ્યની તમામ સરકારી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લે અને ત્યાં મળતી સુવિધાઓ અંગે અને કોરોનાના દર્દીઓને મળતી સુવિધાઓ અંગે વાસ્તવિક સ્થિતિની તપાસ કરે. તપાસ કરીને કમિટી તેનો વિસ્તૃત અહેવાલ ૪થી સપ્ટેમ્બર સુધીમાં હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરે.
નવરાત્રિ ઉત્સવને મંજૂરી મળશે?
કોરોના અને લોકડાઉનમાં પ્રજાના સ્વાસ્થ્યની ચિંતાના કારણે સરકારી ગાઈડલાઈન પ્રમાણે જાહેર ઉત્સવો, મેળાવડા, મેળાને છૂટ અપાઈ નથી. વ્યક્તિગત પ્રસંગોમાં લોકોની હાજરી અંગે પણ અંશતઃ છૂટછાટ છે. રમજાન ઇદ, રથયાત્રા, જન્માષ્ટમી અને ગણેશોત્સવની જાહેર ઉજવણી પર પણ પ્રતિબંધ મુકાયો હતો. હવે નવરાત્રીના આયોજકોના દબાણ પછી રાજ્ય સરકારે આગામી દિવસોમાં મંજૂરી આપવી કે નહીં તેની ચર્ચા શરૂ કરી છે. રાજ્ય સરકારે હાલમાં તો જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર નવરાત્રીના આયોજનો માટે વિચારણા કરશે. આ મુદ્દે મુખ્ય પ્રધાન
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નવરાત્રિ અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સૌરાષ્ટ્ર બસ યાત્રા દરમિયાન જૂનાગઢથી રાજકોટ આવ્યા તે પહેલાં કાગવડ ખોડલધામમાં દર્શને ગયા હતા. ત્યાં ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરોએ ખોડલમાનાં દર્શન કર્યા પછી એકબીજાની લગોલગ ઊભા રહીને ફોટોસેશન કરાવ્યું હતું. અહીં ખુદ સત્તાપક્ષના અગ્રણીઓએ જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter