ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોની સંખ્યા સતત નવી ઊંચાઇએ આંબી રહી છે. મંગળવારે સાંજે સરકારે જાહેર થયેલા આંકડા અનુસાર ૨૪ કલાકમાં ૩૨૮૦ નવા કેસ નોંધાયા છે અને ૨૧૬૭ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અમદાવાદમાં ૭, સુરતમાં ૭, રાજકોટમાં ૨ અને વડોદરામાં ૧ એમ કુલ ૧૭ કોરોના દર્દીના મોત થયાં છે. આ પહેલા ૭ ડિસેમ્બરે ૧૪ દર્દીના મોત થયા હતા. આમ લગભગ ૪ મહિને ફરી મૃત્યુનો આંક વધ્યો છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક ૪૫૯૮એ પહોંચ્યો છે.
બીજી બાજુ રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન જ એક પછી એક પ્રધાન કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. શનિવારે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ જાહેર થતાં તેમને હોસ્પિટલાઇઝ કરાયા હતા. તો બીજા દિવસે રવિવારે વન-પર્યાવરણ પ્રધાન ગણપતભાઇ વસાવા તથા તેમના પત્ની અને રોજગાર - શ્રમ પ્રધાન દિલીપ ઠાકોર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
રાત્રી કરફ્યુનો વ્યાપ વધ્યો
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ગુજરાત સરકારે વધુ ૧૬ શહેરો-નગરોને રાત્રી કરફ્યુમાં આવરી લીધા છે. સાથોસાથ કરફ્યુનો સમય પણ એક કલાક વધારી દીધો છે. અત્યાર સુધી રાજ્યના ચાર મહાનગરો - અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જ રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન રહેતું હતું. હવે આ ચારેય શહેરો ઉપરાંત પાટનગર ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમરેલીને લોકડાઉનમાં આવરી લેવાયા છે. આ તમામ નગરમાં બુધવારથી રાત્રે ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી લોકડાઉન રહેશે તેવી જાહેરાત મંગળવારે મોડી સાંજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગી કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇ કોર્ટે મંગળવારે બપોરે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરીને રાજ્યમાં કરફ્યુ સહિતના પગલાં ભરવા રાજ્ય સરકારને સુચન કર્યું હતું.
અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી. પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતા આ દિવસો જોવાનો વારો આવ્યો છે.
૪ શહેરોની સ્થિતિ ચિંતાજનક
મંગળવારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદમાં નવા ૭૯૮ કેસ નોંધાયા હતા તો સુરતમાં ૬૧૫, રાજકોટમાં ૩૨૧ અને વડોદરામાં ૨૧૮ કેસ નોંધાયા હતા. કોરોનાના હોટસ્પોટ એવા ચાર શહેરોની જમીની વાસ્તવિકતા વધુ ચિંતાજનક છે.
રાજકોટના વિવિધ સ્મશાનમાં રોજ ૨૫ મૃતદેહોનો કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ થાય છે. રેમડેસિવીર ઇન્જેક્શનની તંગી છે. એક દિવસમાં ૩૫૦૦ ઇન્જેક્શન આવ્યા જે તુરંત વપરાયા હતા. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીના સ્વજનોને ઇન્જેક્શન માટે ભટકવું પડે છે. સિવિલ હોસ્પિટલની ટેસ્ટિંગ લેબમાં ૨૫૦૦ સેમ્પલ રોજ આવતા હોવાથી ક્યારેક રિપોર્ટમાં બે દિવસ થઈ જાય છે.
વડોદરાની વિવિધ હોસ્પિટલોમાં અત્યારે ૬ હજારથી વધુ દર્દીઓ દાખલ છે તથા અગાઉ સરેરાશ રોજના ૪૦ મોત થતા હતા. પણ સોમવારે શહેરની હોસ્પિટલોમાં સૌથી વધુ ૫૫ મોત થયા હતા. સૌથી વધુ દર્દીઓ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર પર વડોદરામાં સારવાર લઇ રહ્યાં છે. રાજ્યમાં ઓક્સિજનના કુલ વપરાશના શહેરમાં ૨૫ ટકા કરતા વધુ વપરાશ વડોદરામાં થાય છે.
સુરતની વિવિધ હોસ્પિટલોની બહાર રેમડેસિવીર ઇન્જેક્શન નથી એવા લખાણ વાંચવા મળે છે. હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી ગંભીર ન હોય એવા દર્દીઓને હોટેલમાં રૂમ રાખીને ખસેડવામાં આવી રહ્યા છે. કેટલીક હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં ૩૦૦ બેડ ઉભા કરાયા છે. અટેન્ડન્ટ નહીં હોવાથી દર્દીનાં સગા સ્ટ્રેચર લઈ જતા હોય એવા દૃશ્યો જોવા મળે છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરતવાળા દર્દીઓ વધતાં ૨૦ ટનની ઓક્સિજન ટેન્ક બે વાર ભરવી પડે છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કુલ ૪૨૦૦થી વધુ બેડ ભરાઈ ગયાં છે. શહેરમાં હાલ ૭૫ ટકા નાગરિકો હોમ આઇસોલેશનમાં છે. રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી કતારો હતી, સિવિલ, સોલા સિવિલ એસવીપીમાં એના માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે.
વેક્સિન લેનારાનો આંકડો ૭૫ લાખ પાર
રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા ૭૫ લાખનો આંકડો પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા ૬૭ લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા ૮ લાખથી વધારે છે. મંગળવારે વારે એક જ દિવસમાં ૩ લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. રાજયના ૨૩ પ્રધાન પૈકી ૧૯ પ્રધાને વેક્સિન લઇ લીધી છે. સરકારના દાવા મુજબ, હજુ સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર થઇ નથી.
૮ શહેરોમાં કોવિડ કેર સેન્ટર
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના વડપણ હેઠળ સોમવારે મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતિને લઈને મહત્ત્વના નિર્ણયો લેવાય હતા. આ નિર્ણયો મુજબ રાજ્ય સરકારે દર્દીઓને ઓક્સિજન સરળતાથી મળી રહે તે હેતુથી તમામ ઓક્સિજન સપ્લાયર્સે પોતાના ઉત્પાદનનો ૬૦ ટકા જથ્થો દર્દીઓ માટે અનામત રાખીને આપવાનો રહેશે. તથા રાજ્યના ૮ મહાનગરોમાં ૫૦૦-૫૦૦ બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટરો શરૂ કરાશે. તેમજ તેની તબીબી કામગીરીના સુપરવિઝન, દેખરેખ સંકલન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે ૮ આઇએએસ-આઇએફએસ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે. આ ઉપરાંત સંબંધિત જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનર ખાનગી દવાખાનાઓમાં ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજુરી આપી શકશે.
આ ઉપરાંત અન્ય મહત્ત્વના નિર્ણયોમાં હવે સરકારે આઇસીયુ કે વેન્ટિલેટરની સુવિધા ન ધરાવતાં પ્રાઇવેટ નર્સિંગ હોમ અને દવાખાનાઓમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર કરી શકાશે તેમ જાહેર કર્યું છે. ઓછી ગંભીર સ્થિતિ ધરાવતાં દર્દીઓને વેન્ટિલેટર કે આઇસીયુમાં ન રાખવા પડે તેવી સ્થિતિ હોય તો અહીં તેમની સારવાર થતાં અન્ય હોસ્પિટલો પર ભારણ ઘટે તે માટે આ નિર્ણય લેવાયો છે.
ધો.૧થી ૯ના ફિઝિકલ શિક્ષણ પર ફરી રોક
ગુજરાતમાં કોરોનાના કેસમાં બુલેટ ગતીએ વધારો થઈ રહ્યો છે. માત્ર શહેરોમાં જ નહીં, પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ સતત વધતું હોવાથી રાજ્ય સરકારે ફરી એક વાર ધોરણ ૧થી ૯ના ફિઝિકલ શિક્ષણ પર બ્રેક લગાવી છે. સોમવારથી ધોરણ ૯ સુધીની તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને શનિવારે મળેલી મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૧ મહિના બાદ શરૂ થયેલ ધોરણ ૬થી ૮નું શિક્ષણકાર્ય ૪૫ દિવસ બાદ અને ધોરણ ૯ના વર્ગો ૬૨ દિવસ બાદ ફરી બંધ થયાછે. જોકે ઓનલાઈન શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે.