ગુજરાતમાં ઠેર ઠેર ભારે પવન સાથે વરસાદ

Monday 08th June 2020 06:21 EDT
 
 

ગાંધીનગરઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં ત્રીજી જૂને નિસર્ગ વાવાઝોડું ધરતી પર શમી ગયું હતું. વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં ઠેર ઠેર ભારે પવન અને વરસાદના ઝાપટાં થયાં હતાં, પણ ગુજરાતમાં કોઈ ભારે નુક્સાન નોંધાયું નથી. રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, નિસર્ગના પગલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને આણંદ જિલ્લાના ૨૧ તાલુકાના ૧૬૭ ગામોમાંથી કુલ ૬૩,૭૯૮ લોકોનું સ્થળાંતર થયું હતું, પરંતુ વાવાઝોડા પછી કોઈ નુકસાન નહીં થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
નિસર્ગ વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસાનાં વિધિવત આગમન પૂર્વે જ ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. ૪થી અને પમી જૂને કયાંક ઝાપટા તો કયાંક ચારથી પાંચ ઈંચ વરસાદ રાજ્યમાં નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ભાવનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઝંઝાવાતી વરસાદ આવતાં ક્યાંક ક્યાંક વૃક્ષો, વીજ થાંભલા, હોર્ડિંગ્સ બોર્ડ ધરાશાયી થયા હતાં. અમરેલી જિલ્લામાં ૩ ઈંચ સુધી વરસાદ થતાં નદીઓમાં પૂર આવ્યા હતાં. ભારે વરસાદથી ખેડૂતોના પાકને ઘણું નુક્સાન પહોંચ્યું હતું. એક પ્રૌઢનું મોત પણ નિપજયું હતું. ધોરાજી રોડ પર વૃક્ષ તૂટી પડતાં કાલાવાડ ધોરાજી રોડ બંધ થઇ ગયો હતો. કાલાવડ ખાતે વાહનોની લાંબી લાઇન લાગી ગઇ હતી. જોકે રાજ્યમાં વિધિવત ચોમાસા અંગે હવામાન ખાતા દ્વારા કરાયેલા અનુમાન પ્રમાણે રાજ્યમાં આ વર્ષે ૧૦૨ ટકા વરસાદ થશે.
વાવણીના શ્રીગણેશ થયાં
નિસર્ગની અસર હેઠળના ઝંઝાવાતી વરસાદ બાદ મોસમી વરસાદનો પ્રારંભ ગણીને સાતમી જૂનથી રાજ્યમાં અમુક સ્થળે ખેડૂતોએ ખરીફ પાકની વાવણીના શ્રીગણેશ કર્યાં છે. આ વર્ષે મગફળીનું વાવેતર વધી ૧૮-૧૯ લાખ હેક્ટરને આંબી જાય તેવું અનુમાન છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ કુલ ખરીફ વાવેતર ૮૬-૮૭ લાખ હેકટર રહ્યું છે. આ વર્ષે ચોમાસું કેવું રહે છે. તેના પર વાવેતરની પેટર્ન નિર્ભર બનશે.
સાતમી અને આઠમી જૂને રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર વરસાદ આવ્યો હતો. આઠમીએ ગોંડલમાં ૪ ઈંચ, લોધિકામાં ૨ ઈંચ, જામકંડોરણામાં ૧ ઈંચ, પડધરી અને કોટડાસાંગાણીમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. ઉપલેટા તાલુકામાં સરેરાશ દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સાતમીથી વરસાદ શરૂ થયો અને આઠમીએ એક દિવસમાં અઢી ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. કાલાવડમાં આઠમીએ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં છઠ્ઠીથી વરસાદ શરૂ થયા પછી આઠમીએ ઠેર ઠેર અડધાથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. પોરબંદર જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક અડધાથી એક ઈંચ વરસાદ થયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા પંથકમાં રથી ૩ ઈંચ, ઉના તાલુકામાં રથી૪ ઈંચ વરસાદ થયો હતો. અમરેલી જિલ્લામાં આઠમીએ સતત ચોથા દિવસે સાવરકુંડલા ૩ ઈંચ અને બગસરામાં દોઢ ઈંચ વરસાદ હતો. રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં રવિવારે ચાર કલાકમાં ચાર ઈંચ અનરાધાર વરસાદ વરસતાં ચોતરફ ભારે પાણી ભરાઈ ગયા હતા.
કચ્છમાં સાતમીથી છૂટો છવાયો ઝાપટાંઓનો દોર શરૂ થયો છે. રાપરમાં આઠમી સુધીના ત્રણ દિવસમાં સતત ઝાપટાં નોંધાયા છે. વાગડમાં ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતમાં આમ તો નિસર્ગ વાવાઝોડાના પગલે વલસાડ, સુરત અને નવસારીમાં પવનના ૩૫થી ૪૫ કિલોમીટરના મહત્તમ જોર સાથે પવન ફુંકાવા સાથે ૩જીથી વરસાદ શરૂ થયો હતો. સુરત, વલસાડ, ભરૂચ તથા અન્ય શહેરોમાં નિસર્ગના કારણે ૨૩૬ જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ તથા ૧૨૦થી વધુ હાઇમાસ્ટ લાઇટ ઉતારી લેવાયા હતા. તદુપરાંત વલસાડ-વાપીમાં ઔદ્યોગિક એકમોને અગમચેતી રૂપે ૩જી જૂને બંધ રખાયા હતા સદ્નસીબે વાવાઝોડાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. જોકે ૩જી જૂનથી દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ શરૂ થયો હતો. ચોથી અને પાંચમીએ જોકે વરસાદે ક્યાંક ક્યાંક બ્રેક લીધો એ પછી છઠ્ઠીથી ચોમાસાની વિધિવત શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થઈ હતી.
સાતમી અને આઠમીએ વાપી, વલસાડ, નવસારી, વ્યારા, સુરતમાં એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આઠમીએ સુરત જિલ્લાના ઉમરપાડામાં ચાર કલાકમાં જ સાડા નવ ઇંચ વરસાદથી વિસ્તાર જળબંબાકાર થયો હતો. કીમ પંથકમાં આઠમીએ ૬ કલાકમાં ૪.૫ ઈંચ વરસાદ પડ્યો હતો. સિંચાઈ વિભાગે આપેલા આંકડા મુજબ કીમ પંથકમાં ૮મીએ રાત્રે ૩થી સવારે ૭ સુધી ૮૭ મિમી અને સવારે ૮થી ૯ વાગ્યના એક કલાકમાં ૩૧ મિમી વરસાદી પાણી પડતાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી.
વડોદરા જિલ્લામાં સાતમી અને આઠમીએ સારો વરસાદ નોંધાયો હતો. આઠમીએ બપોરે વડોદરા શહેરમાં દિવસ દરમિયાન અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter