કેરળમાં આલ્કોહોલ નિષેધ બાદ બિહારમાં એપ્રિલ, ૨૦૧૬ની શરૂઆતથી તબક્કાવાર દારૂબંધી છે. તમિળનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ પણ રાજ્યમાં દારૂબંધી લાગુ કરવાનું ચૂંટણી વચન આપ્યું છે ત્યારે ગુજરાતમાં તો વર્ષોથી દારૂબંધી છે એવામાં ગુજરાત સમાચારે ગુજરાતમાં દારૂબંધી વિશે રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, સમાજશાસ્ત્રીઓ તથા વિવિધ ક્ષેત્રના તબીબોનો મત જાણ્યો છે.
ગુજરાતમાં ગાંધીજીએ દારૂ ન પીવા પર વિશેષ ભાર મૂક્યો હતો અને એ પરંપરાને સરકારે જાળવી રાખી. એ નિર્ણયને કારણે જ આજે ગુજરાતમાં એવી ત્રણ પેઢી એટલે કે દાદા, પુત્ર અને પૌત્ર દારૂથી દૂર રહ્યા તેવા ઘણા ઉદાહરણ મળશે. દારૂબંધીના કારણે સોશિયલ કેપિટલ કે સામાજિક મૂડી જળવાઈ રહે છે.
- ગૌરાંગ જાની, સમાજશાસ્ત્રી
ગુજરાતમાં દારૂબંધીથી ફાયદો એ છે કે આ રાજ્યમાં શાંતિ અને સલામતી અન્ય રાજ્યોની સરખામણીમાં વધારે છે. જાહેરમાં દારૂનું સેવન ન થતું હોવાથી લોકો જાહેરમાં અણછાજતું વર્તન કરતા નથી અને તેના લીધે જ ગુનાખોરી અને રેપના બનાવો બનતા અટકે છે. ગુજરાતમાં આલ્કોહોલ પર નિષેધ અત્યંત સમજદારી ભરેલો નિર્ણય છે.
- હંસલ ભચેચ, મનોચિકિત્સક
જે રાજ્યોમાં દારૂબંધી નથી તેવા રાજ્યોમાં આલ્કોહોલના સેવનથી ૧૪ – ૧૫ વર્ષના બાળકો પર બહુ ખરાબ અસર પડે છે. પોતાના પિતાને તેઓ આલ્કોહોલ લેતાં જુએ એટલે બાળકો ગેરમાર્ગે દોરાય છે. ગુજરાતમાં સરકારે દારૂની છૂટ નથી આપી તેથી કમ સે કમ સહેલાઈથી તો દારૂ મળતો નથી એના લીધે પણ દારૂ પીવામાં રોક લાગે છે. પાશ્ચાત્ય દેશોમાં આલ્કોહોલનું સેવન કરનારો ક્લાસ અલગ હોય છે. તેઓ દારૂને દવા ગણે છે, પણ ભારતમાં કે ગુજરાતમાં ભૌગોલિક દૃષ્ટિએ પણ દારૂનું સેવન કરવું જ પડે તેવું નથી. તેથી પરમિટ સાથે પણ માદક દૃવ્યોનું સેવન શા માટે કરવું? તેવું લોકોએ જાતે જ સમજવું જોઈએ.
- ઇલાબહેન ભટ્ટ, સામાજિક સંસ્થા ‘સેવા’ના સંસ્થાપક, સમાજિક કાર્યકર
તબીબી દૃષ્ટિએ જોઈએ તો માદક દૃવ્યોના સેવનથી પાર્કિન્સન રોગ વકર્યો હોય એવા કિસ્સા ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા બને છે. દારૂની છૂટ હોય એવા રાજ્યોમાં તમે જાઓ તો તમને સ્ત્રીઓ અને બાળકોની સલામતી અંગે સતત ભય રહ્યા કરે છે. ગુજરાતમાં પણ ગેરકાયદે દારૂની આવન જાવન થતી જોવા મળે છે, પરંતુ નશો કરીને સડક પર જાહેરમાં કોઈ દેખાય નહીં એ રાજ્યમાં દારૂબંધીના કારણે જ શક્ય બને છે.
- ડો. નીતાબહેન ગોસ્વામી, પાર્કિન્સન સ્પેશિયાલિસ્ટ
ગુજરાતમાં દારૂબંધીના કારણે કેટલાય કિશોરો અને યુવાનોને ખોટા રસ્તે જતાં અટકાવી લેવાયાં છે અને તેમને દારૂના સેવનથી બચાવી લેવાયા છે એ આપણા માટે વિન વિન સિચ્યુએશન જ છે. ખાસ કરીને ગરીબ વર્ગના લોકો એક વખત નીચી કક્ષાનો દારૂ પીવાનો શરૂ કરે એ પછી તેના સેવનમાં મર્યાદા રાખી શકતા નથી અને તેઓનું સ્વાસ્થ્ય કથળવા સાથે તેઓ કૌટુંબિક સામાજિક જવાબદારીનું ભાન ગુમાવી બેસે છે. આ સમયે સમાજની ફરજ છે કે તેમને સુધારે અને તેમને જોઈતી સારવાર પૂરી પાડે.
- સુદર્શન આયંગર, પ્રખ્યાત ગાંધીવાદી
ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, પરંતુ ગેરકાયદેસર રીતે અહીં દારૂની હેરફેર થતી રહે છે અને લોકો તેનું સેવન પણ કરે છે. જોકે અહીં માદક દૃવ્યોનો વિરોધ પણ ખુલ્લેઆમ કરી શકાય છે. જે દારૂની છૂટ ધરાવતા રાજ્યોમાં કરી શકાય નહીં.
ગુજરાતમાં દારૂબંધી છે તો તેનું પાલન કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રાજ્યની પ્રજાની પણ છે. જ્યાં સુધી સરકાર કાયદાનું કડક રીતે પાલન ન કરાવે અને પ્રજા કોઈ પણ કાયદાનું કડક રીતે પાલન ન કરે ત્યાં સુધી તેનું જોઈએ તેવું પરિણામ મળતું નથી. ગુજરાતમાં પણ દારૂબંધીના કાયદાનું પાલન સખત રીતે થવું જોઈએ.
- કમલાબહેન ગુર્જર, પૂર્વ રાજ્ય પ્રધાન, સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રમુખ, આદર્શ મહિલા સમાજ
ગુજરાતમાં રાજ્યની સ્થાપનાથી જ દારૂબંધીનું વાતાવરણ છે તેથી આ રાજ્યમાં એક માનસિક વલણ છે કે દારૂનું સેવન ગેરકાનૂની છે જેના લીધે લોકો દારૂથી દૂર જ રહે છે. જોકે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ગેરકાયદેસર રીતે મળી રહે છે જેનાથી રાજ્યમાં નાણાની ગેરકાયદેસર રીતે હેરાફેરી થાય છે અને આજનો યુવાન દારૂની લત સાથે જોડાઈ રહ્યો છે. રાજ્યમાં ફાયદો એટલો છે કે પ્રજાને ખુલ્લેઆમ દારૂ પીવાની વ્યવસ્થા ના હોવાને કારણે તે છૂપી બારીનો ઈસ્તેમાલ કરે છે અને તેનાથી લોકમાનસ અને જાહેર રસ્તાઓ પર અને સામાજિક વ્યવસ્થામાં રહેતી મહિલા અને બાળકો પર તેમની અસર પડતી નથી.
- રૂપા વાઘેલા, ટ્રસ્ટી ‘સ્પંદન’ સામાજિક સંસ્થા


