અમદાવાદઃ ભારતની ૧૩૫ કરોડની વસ્તી સામે ૫.૨૯ કરોડ કરદાતા છે. આમ દેશમાં ૩.૯૦ ટકા લોકો ઇન્કમટેક્સ ભરે છે. જેની સામે ગુજરાતમાં ૬.૮૦ કરોડની વસ્તી સામે ૬૮ લાખ કરદાતા છે. મતલબ કે વસ્તીના ૧૦ ટકા લોકો આવકવેરો ભરે છે. આ આંકડાના આધારે એવો અંદાજ માંડવામાં આવે છે કે વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં ગુજરાતીઓ રૂ. ૫૫,૫૭૧ કરોડ ઇન્કમટેક્સ ભરશે.
આની સામે ભારત સરકાર ગુજરાતને માત્ર રૂ. ૬,૦૪૦ કરોડ રકમ ફાળવશે. જ્યારે સૌથી વધારે ઉત્તર પ્રદેશને રૂ. ૩૫,૧૬૮ કરોડની રકમ ફાળવવામાં આવશે. આમ ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા દેશમાં સૌથી વધુ હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) નવી દિલ્હીના ચેરમેન સુશીલ ચંદ્રાએ ૨૭ નવેમ્બરે અમદાવાદના વેજલપુરમાં આવકવેરાના નવા બિલ્ડિંગનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું. કરદાતાઓ તેમના ટેક્સના રિટર્નમાં ચોખ્ખી આવક દર્શાવે તે જરૂરી છે. હવે કરદાતાઓની રિટર્ન સ્કૂટિની એસેસમેન્ટ ૦.૫ ટકા જેટલું નહિવત્ થઇ ગયું છે.
વસ્તીના ૧૦ ટકા કરદાતા
• ગુજરાતમાં ૬.૮૦ કરોડની વસ્તી સામે ૧૦ ટકા એટલે કે ૬૮ લાખ કરદાતા. દેશમાં વસ્તીની સરખામણીએ સૌથી વધુ કરદાતા છે. સિક્કિમમાં સૌથી ઓછા કરદાતા છે. • રૂ. ૪૫૧૮ કરોડના ટેક્સ સાથે મહારાષ્ટ્ર પહેલા નંબરે જ્યારે રૂ. ૧૭૯૭ કરોડના ટેક્સ સાથે ગુજરાત સાતમા ક્રમે. • ગુજરાતમાં ૨૦૧૭-૧૮માં ૧૩ લાખ કરદાતાનો વધારો થતાં સંખ્યા ૫૫ લાખથી વધીને ૬૮ લાખ કરદાતાની થઈ. • દેશમાં ગત વર્ષે રૂ. ૧ કરોડનો ટેક્સ ભરનારા ૧.૪૨ લાખ કરદાતા હતા. ગુજરાતમાં ૧૪ હજાર કરદાતાઓએ રૂ. ૧ કરોડથી વધુનો ટેક્સ ભર્યો હતો.