ગાંધીનગરઃ ભારત સરકારના બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે દેશમાં રો-રો, રો-પેક્સ અને ફેરી સર્વિસ માટે ૧૩ બંદરોના નવા રૂટ ૨૧મી ડિસેમ્બરે જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતના ૯ રૂટનો સમાવેશ થાય છે. આ વિભાગના પ્રધાન મનસુખ માંડવિયાએ જળમાર્ગે પરિવહન સેવાઓ શરૂ થવાથી રેલ અને રોડ નેટવર્ક ઉપરનું ભારણ ઘટશે અને પ્રવાસન પ્રવૃતિઓ વધશે તેમ જણાવ્યું હતું.
ભારત સરકારે તાજેતરમાં જ હજીરાથી ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ કરીને તેનો સફળતા પૂર્વક અમલ કર્યો છે. આ સેવાથી ઘોઘા - હજીરા વચ્ચે ૩૭૦ કિલોમીટરનું અંતર ઘટીને ૯૦ કિલોમીટર થયું છે. પ્રવાસનનો સમય ૧૦થી ૧૨ કલાક ઘટીને આશરે પાંચેક કલાકનો થયો છે. આ પ્રયોગ બાદ સાગરમાલા કાર્યક્રમ હેઠળ ભારતના ૭૫૦૦ કિલોમીટર દરિયાકાંઠાનો ઉપયોગ કરીને બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ગુજરાતના હજીરા, ઓખા, સોમનાથ, પીપાવાવ, દિવ, મુંબઈ-JNPT, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી જેવા સ્થાનિક બંદરોની પસંદગી કરી છે. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ, પૂર્વ આફ્રિકાના સેશેલ્સ તેમજ મડાગાસ્કર અને શ્રીલંકાના જાફના એમ ચાર આંતરરાષ્ટ્રીય સ્થળને પણ ભારતીય જળમાર્ગ સાથે જોડવા ૬ આંતરરાષ્ટ્રીય જળમાર્ગની પણ પસંદગી કરવામાં આવી છે. જેના દ્વારા આંતરીક જળમાર્ગ દ્વારા ફેરી સેવાઓ શરૂ થશે.