ગાંધીનગરઃ લોકડાઉન જાહેર થતાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો ફસાઈ પડ્યાં હતાં. એક તરફ તેમનો રોજગાર બંધ હતો. ગજવામાં પૈસા નહીં અને બીજી તરફ કુટુંબ પાસે વહેલામાં વહેલી તકે પહોંચી જવાની જીદ હતી. દેખાવો, વિવાદ ક્યાંક વૈમનસ્યના અંતે પરપ્રાંતીયોને લોકડાઉનના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સિંગને અનુસરીને તેમના વતન – રહેઠાણે મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
૧૨૦૦ પરપ્રાંતીયો રવાના
રાજ્ય સરકારની મદદથી ટ્રેન દ્વારા વતન પહોંચાડવા માટે અમદાવાદથી બીજી મેએ પહેલી ટ્રેન રવાના થઈ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પહેલી શ્રમિક એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી નિર્ધારિત સમય સાંજે ૪ વાગ્યાના બદલે ૫.૩૫ વાગે આગ્રા જવા રવાના થઈ હતી. આ ટ્રેનને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી રવાના કરી હતી.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારની સૂચના મુજબ રજિસ્ટર્ડ થયેલા શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે અમદાવાદથી પહેલી ટ્રેન શનિવારે દોડાવવામાં આવી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉનમાં વિવિધ શહેરોમાં વસતા શ્રમિકોને વતન-રાજ્ય જવાની વ્યવસ્થા માટે સરકારના તંત્રને પ્રેરિત કર્યું છે. આ અંગે મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, બીજી મેથી ત્રણ દિવસમાં ૧૮ જેટલી ખાસ ટ્રેનથી ૨૧,૫૦૦ પરપ્રાંતીય કામદારોને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા મોકલવાની વ્યવસ્થા કરાઈ છે. કેન્દ્ર દ્વારા ટ્રેન મળતી જશે એટલે ટ્રેનની સવલત કરાશે. ટિકિટના પૈસા કામદારોએ આપવાના રહેશે તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. જોકે હાલ જે કામદારાનો મોકલ્યા છે તેમની પાસેથી કેટલી રકમ વસૂલ કરાઈ તેનો આંકડો ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું છે. બીજી તરફ સુરતના રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર જવા માગતા હોય તો તેમના માટે આકરી શરતો મુકાઈ હતી. વતન ગયા બાદ કામદાર દોઢ મહિના સુધી સુરત પરત નહીં આવી શકે. ૧૪ દિવસ વતનમાં ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
બીજી તરફ ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને સ્વીકારવાનો બે રાજ્યોએ ઇનકાર પણ કર્યો હતો. રાજ્યમાં વ્યવસાયિક કારણોસર નિવાસ કરતા અન્ય રાજ્યોના નાગરિકોને તેમના વતન મોકલવા માટે ગુજરાત સરકાર તૈયાર છે, પણ બે રાજ્યો તેમના નાગરિકોને સ્વીકારવા તૈયાર ન હોવાના અહેવાલ સાંપડ્યા હતા. પાંચ રાજ્યો હજુ તેમનું સ્થાનિક વ્યવસ્થાતંત્ર ગોઠવી શક્યા ન હોવાથી તેમણે ગુજરાતને તાત્કાલિક કોઇ મુવમેન્ટ ન કરાવવા કહ્યું હોવાનું જાહેર થયું હતું. એ પ્રમાણે દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ દ્વારા ગુજરાતને જણાવાયું હતું કે, ક્યા રાજ્યના નાગરિકોને ક્યારે પ્રવેશ આપવો તે શિડ્યુલ નક્કી થઇ જાય પછી સરકારને જાણ કરશે. બિહાર અને પશ્વિમ બંગાળે ગુજરાતમાંથી હમણા તેમના પ્રદેશના નાગરિકોને મોકલવા નહીં જણાવ્યું હતું.
૯૪ વડીલોને ગુજરાત પરત લવાયા
સંત વલ્લભાચાર્યના જન્મ સ્થળ છત્તીસગઢના ચંપારણમાં યોજાયેલી ભાગવત્ કથામાં ભાગ લેવા નિકોલ ઓઢવ અને વસ્ત્રાલના ૯૪ લોકોનું ગ્રૂપ ૧૪ માર્ચે ગયું હતું. આ તમામ લોકો ૨૩ માર્ચે નીકળી ૨૫ માર્ચે અમદાવાદ પરત ફરવાના હતા. પરંતુ લોકડાઉનના પગલે ટ્રેન વ્યવહાર બંધ થતાં તેઓ ત્યાંજ ફસાઇ ગયા હતા. જોકે બાપુનગર પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કોઠિયાને જાણ થતાં તેમના પ્રયત્નોથી કલેક્ટરની મંજૂરી બાદ અમદાવાદથી ગયેલી બે બસમાં આ લોકો બીજી મેએ સવારે નિકોલ પરત લવાયા હતા.
પરપ્રાંતીયોના દેખાવઃ ટિયરગેસના ૭૫ શેલ છોડાયા
કડોદરા નજીકના વરેલી ખાતે ૪થી મેએ પરપ્રાંતીયો ઘરોમાંથી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. હજારોની સંખ્યામાં આ શ્રમિકો ભેગા થતાં પોલીસ કાફલો પણ પરિસ્થિતિને કાબૂ લેવા પહોંચી ગયો હતો. લોકોને પોલીસે સમજાવવા ઘણા પ્રયત્નો કર્યાં હતાં. પોલીસ અને ટોળાં વચ્ચે ચાલેલી કલાકોની વાતચીત પણ સફળ રહી નહોતી. અંતે વિફરેલા પરપ્રાંતીયોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેથી પોલીસે પણ ભાગવું પડ્યું હતું. પોલીસના વાહનો પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. અંતે લોકો કાબૂમાં ન રહેતા પોલીસે છેવટે ટિયરગેસના ૭૫ શેલ છોડ્યા હતા.
પોલીસ જવાનોએ સંતાયેલા લોકોને ઘરોમાંથી બહાર કાઢી લાઠીચાર્જ કર્યો હતો. લોકોએ ટાયર પણ સળગાવ્યા હતા અને આજુબાજુ રહેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. મોડી સાંજે પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી અને ૨૦૪ લોકોની આ અંગે ધરપકડ કરી હતી.
રાજકોટના રસ્તે દેખાવો
રાજકોટમાં સોમવારથી જ શ્રમિકો વતન જવાની માગ સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા. રાજકોટથી ટ્રેન શરૂ કરાશે તેવી જાહેરાત પછી તંત્રને આશા હતી કે, પરપ્રાંતીય શ્રમિકો શાંત થશે પણ તેનાથી ઊલટું જ થયું. સોમવારે સવારે ૯ કલાકે કોઠારિયા ફાટક ત્યાંથી પારડી ગામ, રાધે ચોકડી અને મવડી ચોકડીએ ટોળે ટોળાં ઊમટી પડ્યા અને ૧૦ વાગ્યે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. પ્રાંત અધિકારી અને ક્લેક્ટર કચેરીએ જમાવડો કર્યો હતો અને બગીચામાં બેસી ગયા હતા. આ જોઇને નિવાસી કલેક્ટર પી. બી. પંડ્યા સમજાવવા પહોંચી ગયા હતા. જોકે મંગળવારે રાજકોટથી ૧૨૯૪ પરપ્રાંતીયને લઇ પહેલી ટ્રેન ઉત્તર પ્રદેશ જવા રવાના થવાની જાણ થતાં તેઓ શાંત પડ્યા હતા.