ગુજરાતમાં રોજિંદા ૧૦૦૦ કોરોના સંક્રમણથી ભય

Tuesday 28th July 2020 08:54 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ૨૮મી જુલાઈના અહેવાલો પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧૧૦૮ કેસો નોંધાયા છે. જ્યારે ૨૪ લોકોનાં મોત નિપજ્યા છે. અને ૧૦૩૨ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત પહોંચ્યા છે. આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક ૫૭૯૮૨પર પહોંચી ગયો છે. જ્યારે મોતનો કુલ આંક ૨૩૭૨ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૪૨૪૧૨ સુધી પહોંચ્યો છે. સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા ૧,૦૫૨ કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં થયેલાં કુલ ટેસ્ટની સામે કોરોના પોઝિટીવ આવેલાં કેસનું પ્રમાણ ૮.૫ ટકા જેટલું છે.
ઉલ્લેખનીય છે કે ૨૧મી જુલાઈએ આવેલા એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે દેશનાં ૧૧ સૌથી વધુ કોરોના વાઈરસ પ્રભાવિત શહેરોના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કરાવેલા સીરો સરવેમાં ચોંકાવનારાં પરિણામો સામે આવ્યા છે. આ રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ૪૯ ટકા જેટલા લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગી ચૂક્યો હતો. હજી પણ કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. જોકે, આ સર્વે રેન્ડમ સેમ્પલિંગના આધારે કરાયો હતો. કોરોનાના સંક્રમણનો અંદાજ લગાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો, જેનો હેતુ વિવિધ સ્થળે રહેતી વસતી પર કોરોનાની કેટલી અસર થઈ તે જાણવાનો હતો. આ પ્રમાણે, અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોન પછી કોરોનાનો સૌથી વધુ ભોગ અનુક્રમે મુંબઈ, આગરા અને પૂણેના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો બન્યાં છે. સરવેનાં તારણો મુજબ મુંબઈ, આગ્રા, પૂણે કરતાં અમદાવાદમાં સંક્રમણનું પ્રમાણ વધારે દેખાયું હતું. જોકે એ સાથે એ પણ તારણ હતું કે, આગામી દિવસોમાં નવા કેસ ઘટતા જશે જોકે ૨૮મી જુલાઈએ આવેલા અહેવાલો પ્રમાણે ગુજરાતમાં રોજિંદા કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર થતી જાય છે જે ચિંતાનો વિષય છે. આ બધા વચ્ચે ૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસૂલવામાં આવશે. તેવું જાહેરનામું રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી ૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને ૫૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
સૌથી ઘાતક લક્ષણ GH ક્લેડનું પ્રમાણ ૫૧.૮ ટકા
ગુજરાતમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે કોરોનાથી મૃત્યુદર પણ ગુજરાત માટે વધુ ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. હાલ રાજ્યમાં મૃત્યુદર ૪.૨૫ ટકા છે જે દેશના મોટાભાગના રાજ્યો કરતાં વધારે છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદના સંશોધનમાં સામે આવેલા તારણ પ્રમાણે ગુજરાતમાં કોરોનાના ઘાતક લક્ષણ છે. ગુજરાતમાં સૌથી વધુ ૫૧.૮ GH ક્લેડનું પ્રમાણ હોવાથી મૃત્યુદરનું પ્રમાણ ખૂબ જ વધારે છે.
કોરોનાના ૫૦ ટકા દર્દીને લિવરની બીમારી
સમગ્ર વિશ્વમાં ૨૮ જુલાઇને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે મનાવાય છે. કોરોના સંક્રમિત ૫૦ ટકા દર્દી લિવરની બીમારીથી પીડાતા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કોરોના સંક્રમણ ઉપરાંત લિવર સીરોસીસ હોય તો દર્દી પર મૃત્યુનું જોખમ સૌથી વધુ છે. કોરોના અને લિવરની બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલાં ૨૫ ટકા લોકોને આઇસીયુમાં જયારે ૧૭ ટકાને વેન્ટિલેટર પર મૂકવા પડ્યાં જેમાંથી ૩૬ ટકાના મોત થયાનો ડોક્ટરોનો દાવો
છે. આ ઉપરાંત અસ્થમા-ક્રોનિક બ્રોન્કાઈટીસના દર્દીને કોરોનાનું જોખમ પાંચ ગણું વધુ હોય છે તેવું પણ આરોગ્ય નિષ્ણાતો દ્વારા જણાવાયું છે.
દર્દીઓ પર આયુર્વેદની દવાનું સફળ પરિક્ષણ
કોરોના સામે લડી રહેલા કોમોર્બિડ દર્દીઓને આયુર્વેદિક દવાથી વેન્ટિલેટર પર જતા હવે અટકાવી શકાશે. રાજ્ય સરકારના આયુષ વિભાગ દ્વારા અપાયેલી મંજૂરી બાદ અમદાવાદની કેટલીક ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ પછી દવાનો ઉપયોગ કરાયો હતો, જેમાં અશ્વગંધા મિશ્રિત આયુર્વેદિક દવાને ૧૦૦ ટકા સફળતા મળી છે.
એએમસીના ડ્રાઈવરનું અવસાનઃ વડા પ્રધાને ફોન કર્યો
એએમસીની સેક્રેટરી ઓફિસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં ૫૭ વર્ષીય હરીશભાઈ કોષ્ટીનું ૨૩મી જુલાઈએ સવારે કોરોના સારવારમાં મોત નીપજ્યું હતું. તેઓ જે તે વખતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી આરએસએસના પ્રચારક તરીકે કામ કરતાં હતા ત્યારે તેમની સાથે કાર્યકર્તા હતા. ૨૪મી જુલાઈએ સવારે ખુદ વડા પ્રધાન મોદીએ હરીશભાઈના મોટાભાઈ દીપકભાઈ કોષ્ટીને ફોન કરીને સાંત્વના આપી હતી.
મુખ્ય પ્રધાન નેતૃત્વના પ્રત્યે ૮૦ ટકા લોકોને સંતોષ
ગુજરાતમાં કોવિડ-૧૯ની સારવાર અને સ્થિતિ શું છે તે બાબતે આઇઆઇએમના પ્રોફેસર રંજન કુમાર ઘોષ અને તેમની ટીમ દ્વારા એક અહેવાલ તૈયાર કરાયો છે. આ અહેવાલમાં કોવિડ-૧૯ની મહામારી દરમિયાન મુખ્ય પ્રધાન રૂપાણીના નેતૃત્વ પ્રત્યે ૮૦ ટકાથી વધુ લોકોને સંતોષ હોવાનું તારણ બહાર આવ્યું છે. અહેવાલમાં સાર્વજનિક સ્વાસ્થય, કાયદો અને વ્યવસ્થા, વહીવટી તંત્ર સાથે વિવિધ હીત ધારકોનો અનુભવ, પ્રવાસી શ્રમિક અને અન્ન પુરવઠો, જેવી વ્યવસ્થા સરાહનીય હોવાનું આઇઆઇએમના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલમાં રાજ્યા અને કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.. જે પ્રમાણે સરકારે કોવિડ-૧૯ હોસ્પિટલ મારફત ૨૨૦ બેડ ઉપરાંત સરકારી અને ખાનગી ભાગીદારી મોડલથી દર્દીઓ બેડ ઉભા કરવામાં મદદ મળી છે.
ગુજરાતમાં અનેક ગામ-શહેરમાં સ્વયંભૂ ‘લોકડાઉન’
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકડાઉન દરમિયાન કોરોના સંક્રમણના ૮૦ ટકા કેસ અમદાવાદ, સુરત, વડોદારામાં નોંધાતા હતા, પરંતુ ‘અનલોક’ના પ્રારંભ સાથે જ હવે સ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું છે અને નાના જિલ્લાઓ-ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. આ સ્થિતિને પગલે હવે ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારો, નગરો, નાના-મોટા માર્કેટ દ્વારા બપોરના અમુક નિશ્ચિત સમય બાદ સ્વંયભૂ ‘લોકડાઉન’ પાળવાની છેલ્લા કેટલાક દિવસથી શરૂઆત કરી દેવામાં આવી છે.
કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ગુજરાતના સેંકડો નાગરિકોએ સામૂહિક રીતે અનોખી પહેલ શરૂ કરી છે. તાજેતરમાં જ ગાંધીનગર નજીક આવેલા ચિલોડામાં બપોરે બે બાદ તમામ બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો સ્થાનિક વહીવટી તંત્ર-વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં જ આવેલા દહેગામમાં મોટાભાગના બજાર બપોરે ૪ સુધીમાં બંધ કરી દેવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને પગલે તકેદારીના ભાગરૂપે વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વંયભૂ દુકાનોને બંધ રાખવાનો આ નિર્ણય કરાયો છે. વડોદરા જિલ્લામાં આવેલા ડભોઇમાં આગામી પાંચ ઓગસ્ટ સુધી સવારે ૮થી બપોરે ૨ સુધી જ દુકાનો ખુલી રાખવા અને ત્યારબાદ નગરજનોને સ્વૈચ્છિક જનતા કર્ફયૂનું પાલન કરવા અનુરોધ કરાયો છે.
ઉંઝા માર્કેટ યાર્ડ બંધ
સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે એશિયાનું મોટું ઉંઝા માર્કેટિંગ યાર્ડ ૧૯થી ૨૬ જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ઉંઝા માર્કેટિંગ યાર્ડના બંધને ૨ ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉંઝા અગાઉ બોટાદ માર્કેટિંગ યાર્ડને પણ ૨૬ જુલાઇ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બોટાદના રાણપુરમાં આગામી ૩૧ જુલાઇ સુધી સવારે ૭થી બપોરે ૨ સુધી જ સ્વંયભૂ દુકાનો ખુલી રાખવાની જાહેરાત કરાઇ છે. જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ ૨૧ જુલાઇથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું હોવાનું સામે આવ્યું છે. જુલાઇ મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. મોરબીના વેપારીઓ પણ બપોરે ૩ સુધી જ દુકાન-ધંધા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સુરતમાં પણ હીરા બજાર સહિત અનેક વેપારીઓ હવે અમુક સમય બાદ સ્વંયભૂ બંધ પાળે છે. ઉત્તર ગુજરાતમાંથી પાલનપુર-ડીસામાં બપોરે ૪ બાદ તમામ દુકાન સજ્જડ બંધ પાળે છે. આ ઉપરાંત પાટણે પણ ૩૧ જુલાઇ સુધી બપોરે ૨ બાદ તમામ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પાટણમાં દુકાનો ઉપરાંત પાનના ગલ્લા-નાસ્તાની લારીઓ પણ બપોરે ૨ બાદ બંધ રાખવામાં આવે છે. મોડાસા શહેરમાં પણ વેપારીઓ બપોરે ૩ બાદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ એરપોર્ટ પર ૧૨ બોડી સ્કેનર મુકાશે
કોરોના મહામારી બાદ સુરક્ષા કર્મચારીઓને સંક્રમણથી બચાવવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદ સહિત દેશના સંવેદનશીલ મનાતા ૬૩ જેટલા એરપોર્ટ પર બોડી સ્કેનર લગાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે ઓથોરિટી દ્વારા ૧૯૮ જેટલા બોડી સ્કેનર ખરીદવા અને એરપોર્ટ પર લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં વિમાન સેવા રેગ્યુલર શરૂ થાય તે પહેલા એરપોર્ટ પર આ બોડી સ્કેનર લગાવી દેવાનું આયોજન છે. અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર ૮ જેટલા તેમજ ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ૪ બોડી સ્કેનર લગાવવામાં આવે તેવી શક્યતા છે. આ બોડી સ્કેનર લગાવ્યા બાદ એરપોર્ટ પર હાલમાં કાર્યરત ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર તેમજ હેન્ડ હેલ્ડ સ્કેનર સિસ્ટમ બંધ કરી દેવાશે. આ બોડી સ્કેનર વ્યક્તિના સંપૂર્ણ શરીરની સાથે તેણે પહેરેલા બૂટને પણ સ્કેન કરશે. અમદાવાદ સહિત દેશના અનેક એરપોર્ટ પર આવતા પેસેન્જરો ઘણીવાર દાણચોરીથી ગોલ્ડ સહિતની વસ્તુઓ તેમજ હથિયારો સાથે અવર જવર કરે છે. આવા લોકોને ઝડપી પાડવા આ સ્કેનર મદદરૂપ થશે.

બાંગલાદેશથી રેમડેસિવિરની દાણચોરી

કોરોનાના ગંભીર દર્દીઓ માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન બાંગલાદેશથી દાણચોરી મારફતે અમદાવાદ અને સુરતમાં ઘુસાડી કાળાબજાર કરતી ટોળકી ૨૪મી જુલાઈએ ઝડપાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ૨૧ જુલાઈએ કુલ ૧૧૫ રેમડેસિવિર ઈન્જેક્શન જપ્ત કરાયા હતા. આ ટોળકીએ ૮૫ ઈન્જેક્શન વેચી નાંખ્યા હતા. આ ઈન્જેક્શન ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તેની ખરાઈ કરવા વિભાગ દ્વારા લેબોરેટરીની તપાસ માટે મોકલ્યા છે. ગાંધીનગરની FDCAની ટીમે બાંગલાદેશથી અમદાવાદ અને સુરત લવાયેલા રેમડેસિવિર ઈન્જેક્શન જપ્ત કર્યા છે. મકરબામાંથી ૯૯ રેમડેસિવિર ઈન્જેક્શન તેમજ સુરતમાંથી ૪.૬૫ લાખની કિંમતના રેમડેસિવિર અને ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન જપ્ત કરાયા છે. FDCAની ટીમે અમદાવાદના એક મેડિકલ રિપ્રેઝન્ટેટીવને બોગસ ઓર્ડર આપી કાળાબજાર પકડી પાડ્યું હતું. શહેરનો રિપ્રેઝન્ટેટીવ સુરતના એક વ્યક્તિ સાથે મળીને સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. ૨૧ જુલાઈએ ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર ખાતે રહેતા અને એબોટ ઈન્ડિયાના એમઆર સંદિપ માથુકીયાને રંગેહાથ ઈન્જેક્શન સાથે ઝપડી લેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter