ગુજરાતમાં લોકડાઉન કરવું કે નહીં, રાજ્ય સરકારમાં હજુય અસમંજસ

Wednesday 21st April 2021 03:26 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોએ ૧૨ હજારના આંકને વટાવી દીધો છે. મૃત્યુઆંક પણ વધીને સેન્ચુરીને પાર કરી ૧૨૧એ પહોંચ્યો છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિને પારખીને દિલ્હી અને રાજસ્થાન સરકારે લોકડાઉન લાદી દીધું છે. જોકે, ગુજરાતમાંય કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે ગુજરાતભરના શહેરો-ગામડાઓમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ સરકાર હજુ અસમંજસની સ્થિતિમાં હોય તેવું જોવા મળે છે. લોકડાઉનના મુદ્દે ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે પણ મતમતાંતરની સ્થિતિ પ્રવર્તે છે.
ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. આઈસીયુ બેડ સાથે હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. દર્દીઓને બેડ મળવા મુશ્કેલ છે. રેમડેસિવીર ઈન્જેક્શન મેળવવા દર્દીઓના સગાઓ રઝળપાટ કરવી પડી રહી છે. જેના કારણે ઠેર-ઠેર દોડધામ મચી છે. દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપી સારવાર કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની લાઈનો લાગી છે.
આ ઉપરાંત હોસ્પિટલોમાંથી મૃતદેહ મેળવવા માટે વેઈટીંગ છે. સાથે સાથે સ્મશાનગૃહોમાં ય મૃતદેહની અંતિમ વિધી માટે પણ વેઇટીંગ લિસ્ટ ઘણું લાંબું છે. આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યભરમાં વિવિધ શહેરો-ગામડાઓમાં સામાજીક આગેવાનો, વેપારી સંગઠનો, સામાજીક-ધાર્મિક સંસ્થાઓએ સ્વયંભૂ બંધ પાળવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં આજે મહદઅંશે સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે.
આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એવો મત વ્યક્ત કર્યો કે, હાલ ગુજરાતમાં લોકડાઉન કરવા જેવી સ્થિતિ જ નથી. અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સ્થિતિ ઘણી સારી છે. દર્દીઓને પથારી ન મળે તેવી થોડીક ઘણી મુશ્કેલી છે પણ તે ધીરે ધીરે આ સમસ્યાનો હલ આવી જશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, લોકો જ સ્વયંભૂ બંધ પાળી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે શહેરો-ગામડાઓમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ મામલે કોઈ નિર્ણય લેશે તો જણાવીશું.
વિક્રમજનક ૧૨,૨૦૬ કેસ અને ૧૨૧નાં મૃત્યુ
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોના રોજેરોજ નવી ટોચ સર્જી રહ્યો છે. ત્રણ દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો ૧૦,૦૦૦થી ઉપર નોંધાઈ રહ્યો છે. મંગળવારે રાજ્યમાં ૨૪ કલાકમાં જ કોરોનાના દૈનિક કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ચિંતાજનક ઉછાળો આવ્યો છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૮૦.૮૨ ટકા છે, જે ગયા પખવાડિયા સુધી ૯૦ ટકા ઉપર હતો.
મંગળવારે વિતેલા ૨૪ કલાકમાં નવા રેકોર્ડ સાથે ૧૨૨૦૬ કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાના કારણે ૧૨૧ દર્દીઓએ એક સાથે જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસના અંદાજે ૧૩ મહિનાના સમયગાળામાં એપ્રિલના ૧૮ દિવસમાં જ રેકોર્ડ બ્રેક એક લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં એપ્રિલના ૧૮ દિવસમાં ૧,૦૮,૨૭૪ કેસ નોંધાયા છે જ્યારે ૯૭૫ દર્દીના મોત નિપજ્યા છે. ૨૪ કલાકમાં આઠ મહાનગરો પૈકી સાત મહાનગરો અને ૨૨ જિલ્લાઓમાં કોરોનાના કારણે નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં એક સાથે એક જ દિવસમાં ૨૪ દર્દીના મોત થયા છે જ્યારે અમદાવાદમાં ૨૩ દર્દીના મોત નિપજ્યા છે.
અમદાવાદમાં કોરોનાની આગેકૂચ
અમદાવાદમાં કોરોના બુલેટ ગતિથી આગળ વધી રહ્યો છે. રોજે રોજ કોરોનાના નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં દૈનિક કેસનો આંકડો ચાર સંખ્યામાં અને મોતની સંખ્યા ડબલ ડિજિટમાં નોંધાય રહ્યો છે. શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક લાખને નજીક પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ ૯૯,૦૬૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. બીજી તરફ મંગળવારે કોરોનાના દૈનિક કેસનો આંકડો ૪૬૦૦ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ શહેરના ૨૩ નાગરિકોને કોરોના ભરખી ગયો છે.
ગ્રામ્ય સ્તરે પણ સંક્રમણ વધ્યું
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી ઈનિંગ વધારે ખતરનાક એટલા માટે ગણી શકાય કે માત્ર શહેરોમાં જ નહીં પણ ગ્રામ્ય કક્ષામાં પણ પુરજોશથી સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યના ગામડાઓ પણ રોજેરોજ કોરોના નવા કેસ નોંધાયા છે. જિલ્લા અને તાલુકા કક્ષાની હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સુરત જિલ્લા બાદ મહેસાણા જિલ્લામાં પણ કોરોના દૈનિક કેસનો આંકડો ૪૦૦ને પાર પહોંચી ગયો છે. આ સિવાય અન્ય કેટલાય જિલ્લાઓ બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, પાટણ, કચ્છ, જામનગર, તાપી, દાહોદ અને ગાંધીનગર જિલ્લામાં દૈનિક કેસનો આંકડો ત્રીપલ ડિજિટ માં નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૫૮ દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ છે.
વેક્સિનેશનનો આંક હવે ૧ કરોડને પાર
ગુજરાતમાં કોરોના રસીકરણના કુલ ડોઝનો આંક હવે ૧ કરોડને પાર થયો છે. મંગળવાર સુધી કુલ ૧.૦૫ કરોડથી વધુ લોકોને રસીકરણના ડોઝ અપાઇ ચૂક્યા છે. ૧ કરોડથી વધુ રસીકરણના ડોઝ અપાયા હોય તેવું ગુજરાત ચોથું રાજ્ય છે.
રેમડેસિવિરનું ઉત્પાદન વધશે
કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શન રેમડેસિવિરની માંગમાં તીવ્ર વધારો થયો છે. હોસ્પિટલો અને દવાની દુકાનોમાં તેની અછત સર્જાઈ છે ત્યારે કેન્દ્ર દ્વારા કોરોનાની સારવાર માટેનાં આ મહત્ત્વનાં ઈન્જેક્શનની સરળ પ્રાપ્તિ માટે પગલાં લેવામાં આવ્યા છે. માંગ વધતા દેશમાં બે અઠવાડિયામાં દરરોજ ૩ લાખ વાયલ્સ રેમડેસિવિરનું ઉત્પાદન કરવામાં આવશે. રેમડેસિવિરનું દરરોજ ખુલ્લા બજારમાં વેચાણ કરાશે. હાલ બજારમાં દરરોજ ૧.૫ લાખ વાયલ્સનો પુરવઠો પૂરો પડાઈ રહ્યો છે તેમ કેન્દ્રનાં કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
મૃતક ખ્રિસ્તીને અગ્નિદાહ આપવા સલાહ
કોરોનાને કારણે મૃત્યુદરમાં વધારો થયો છે, જેને લઈને અમદાવાદના રોમન કેથલિક સંપ્રદાયના બિશપે પત્ર લખીને અનુયાયીઓને મૃતદેહ કબ્રસ્તાનમાં દફનાવવાને બદલે તેમના દાહ સંસ્કાર કરવા જણાવ્યું છે. બિશપે જણાવ્યું કે હાલ કબ્રસ્તાનોમાં જગ્યાનો પ્રશ્ન ઉદભવે તેવી સ્થિતિ છે અને કેથલિક સંપ્રદાયના કેનન લો પ્રમાણે અગ્નિદાહ મૃતદેહની અંતિમ વિધિ માટે ઉચિત મનાયો છે. આ પત્રમાં બિશપ રત્ના સ્વામીએ કહ્યું કે કોવિડના કારણે થતાં મૃત્યુના વધારાને લઈને દિવંગત લોકોના મૃતદેહની અંતિમ વિધિ સન્માનજક રીતે થાય તે જરૂરી હોવાથી આમ કરવું યોગ્ય રહેશે. આ ઉપરાંત તેમણે કેનન લોને ટાંકીને કહ્યું છે કે પવિત્ર માતા ચર્ચે જણાવ્યું છે કે કેથલિક લોકોના મૃતદેહ દફનાવી અથવા તેનો અગ્નિસંસ્કાર કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter