ગાંધીનગરઃ રાજ્ય સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં લીટરે રૂ. બેનો વધારો કર્યો છે. ૧૫મી જૂને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી કે આ ભાવવધારો સોમવારે મધરાતથી અમલી બનશે. તેમણે કહ્યું કે, અર્થતંત્રને નુકસાન સામે પગલાં સૂચવવા રચાયેલી અઢિયા કમિટીએ કરેલી ભલામણ મુજબ પેટ્રોલ-ડીઝલના વેટમાં ૩ ટકાનો વધારાનો નિર્ણય મુખ્ય પ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો છે. આ વધારાથી સરકારને વાર્ષિક રૂ. ૧૫૦૦થી ૧૮૦૦ કરોડની વધારાની આવક થશે.
ભાવવધારો શા માટે?
કોરોના અને લોકડાઉનથી સરકારી આવકમાં રૂ. ૨૬ હજાર કરોડની ઘટનો અંદાજ છે. વધતા ખર્ચને પહોંચી વળવા ભાવવધારો કરાયો છે.
પગાર કાપ એક વર્ષ સુધી
નીતિન પટેલે કહ્યું કે, ઘટતી આવકો સામે ખર્ચને પહોંચી વળવા માટે અગાઉ જ મુખ્ય પ્રધાન સહિત તમામ પ્રધાનોનાં અને ધારાસભ્યોનાં પગારમાં ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ૩૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો અપાય છે તે જાન્યુ. ૨૦૨૦થી જુલાઇ ૨૦૨૧ સુધી ફ્રીઝનો કેન્દ્ર સરકારના પગલે નિર્ણય લેવાયો છે. તેથી રૂ. ૩૪૦૦ કરોડની બચત થશે.
ઇંધણના ભાવવધારા અંગે નીતિન પટેલે કહ્યું કે, ભાવવધારા બાદ પણ ગુજરાતમાં પેટ્રોલનો દેશના અન્ય તમામ રાજ્યો કરતા ઓછો ભાવ છે જ્યારે ડીઝલમાં ૧૫ રાજ્યો કરતાં ઓછો ભાવ છે. રાજ્ય સરકારે અગાઉ ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ પેટ્રોલ-ડીઝલના વેટમાં ૪ ટકાનો અને ૪ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ૩ ટકાનો ઘટાડો કર્યો હતો.