અમદાવાદ: રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ૫૦-૫૦ માળની આઈકોનિક બિલ્ડિંગ બાંધવાની ખાસ કિસ્સામાં છૂટ આપવામાં આવશે. બિલ્ડરો અને ડેવલપર્સ ઇચ્છે તો હવે આ પ્રકારની બિલ્ડીંગની શરતોને આધીન મંજૂરી મેળવી શકે છે. દુબઈ અને સિંગાપોર જેવી દૂર દૂરથી લોકો જોવા આવે તેવી ઇમારતો બનાવવાની પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. આ સંજોગોમાં ૧૦૦-૧૦૦ માળની ઇમારતો બાંધવાની પણ ગુજરાતના મોટો શહેરોના કેટલાક વિસ્તારોમાં સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવામાં આવશે. તેવો નિર્દેશ તેમણે આપ્યો હતો. જોકે જે તે વિસ્તારની પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યા પછી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે એમ મુખ્ય પ્રધાને ૨૩મીએ જાહેર કર્યું હતું.