અમદાવાદઃ કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્રિય શિક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ૧૫મી ઓગસ્ટ બાદ જ શાળાઓ શરૂ થશે. જેને લઈને રાજ્ય સરકારે પણ સાતમીએ જાહેર કર્યું કે રાજ્યમાં પણ આ જ નિર્ણયને માન આપીને ગુજરાતની તમામ સ્કૂલો રાબેતા મુજબ ૧૫મી ઓગસ્ટ બાદ જ ખોલવી. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ૪ બાદ અનલોક-૧.૦માં ૩૦ જૂન સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવા આદેશ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ જે તે રાજ્ય સરકાર પર નિર્ણય છોડયો હતો. જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં શાળા-કોલેજો ૩૦ જૂન બાદ શરૂ થશે કે કેમ તેને લઈને ચર્ચા ચાલી હતી. ખાસ કરીને શાળા ૩૦ જૂન બાદ રાબેતા મુજબ શરૂ થાય તો તકેદારીનાં પગલાં કેવી રીતે લેવાશે? તે સહિતના પ્રશ્નો શાળા સંચાલકોથી લઈને વાલીઓ, વિદ્યાર્થીઓને મુંઝવતા હતા. આ તમામ પ્રશ્નોનો હાલમાં અંત આવ્યો છે. કેન્દ્રિય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલે સાતમી જૂને એવું સ્પષ્ટ કર્યું હતું કે, દેશભરમાં શાળા અને કોલેજો - વિદ્યાસંકુલો રાબેતા મુજબ ૧૫મી ઓગસ્ટ બાદ જ શરૂ થશે. એ પછી રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પણ જાહેર કર્યું કે રાજ્યની શાળા-કોલેજો મુદ્દે કેન્દ્રના આદેશનું જ પાલન થશે.