ગાંધીનગરઃ ગુજરાતમાં વર્તમાન વર્ષનો ૮૧ ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ખરીફ પાકનું વાવેતર પણ ૯૯ ટકાથી વધુ થયું છે. શ્રાવણ મહિનમાં વરસાદ નહીં પડતાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઇ હતી, પરંતુ ભાદરવામાં પડેલા ત્રીજા તબક્કાના વરસાદથી રાહત થઇ હતી.
રાજ્યમાં ચોમાસાની ઋતુનો સરેરાશ વરસાદ ૮૦૦ મિ.મી. જેટલો માનવામાં આવે છે, તે પૈકી ૬૪૭ મિ.મી. અર્થાત ૮૧ ટકાથી વધુ વરસાદ ૨૨ સપ્ટેમ્બરની સવાર સુધીમાં થયો છે. બીજી તરફ ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર ૮૫,૫૨,૯૦૦ હેક્ટરમાં થાય છે તે પૈકી ૮૪,૮૩,૨૮૦ હેક્ટરમાં થઈ ચૂક્યું છે.
કૃષિ વિભાગના આંકડા મુજબ ડાંગર, જુવાર, તુવેર, મગ, તલ, દિવેલા, સોયાબીન, કપાસ જેવા પાકોમાં સંપૂર્ણ વાવેતર થયું છે. વાવેતર વિસ્તારનો આંકડો છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ પરથી નક્કી થાય છે અને એ જોતાં તો આ સિઝનના ખરીફ પાકનું વાવેતર ૧૦૦થી ૧૯૫ ટકા જેટલું થયું હોવાનું કહેવાય છે.


