ગુજરાતી સિનેમા-સંગીતમાં પ્રખ્યાત ભાઈઓ મહેશ-નરેશ પંચભૂતોમાં વિલીન

Tuesday 27th October 2020 16:44 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું ૨૭મી ઓક્ટોબરે નિધન થયું હતું. તેમના મોટાભાઈ મહેશના નિધનના ત્રીજા દિવસે નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધાં હતાં. ૨૦મી ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ૨૨મી ઓક્ટોબરથી તેઓ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ અંતે નેગેટિવ આવતાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો હતો. જે સ્મશાનગૃહમાં મહેશની અંતિમવિધિ થઈ ત્યાં જ ત્રીજા દિવસે નરેશનાં અંતિમ સંસ્કાર થયા હતા.
ચાહકો ચોધાર આંસુએ રડ્યા
સ્મશાનગૃહે સબવાહિનીનો દરવાજો ખૂલતાં જ લોકોએ હૈયાફાટ રુદન કર્યું હતું. લોકોએ નરેશનાં પાર્થિવદેહ પર પુષ્પવર્ષા પણ કરી હતી. સ્મશાનગૃહમાં જોકે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તમામને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વિનંતી કરી હતી. નરેશ કનોડિયાના મૃત્યુના સમાચાર બાદ તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પણ સગાં-સંબંધી એકઠાં થયાં હતાં.
વડા પ્રધાન દ્વારા શોક વ્યક્ત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત નેતા - અભિનેતા અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સદગત નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અગાઉ મૃત્યુની અફવા
યુ. એન. મહેતા હોસ્પિટલમાં જ્યારે નરેશ કનોડિયા દાખલ હતા ત્યારે ઓક્સિજન માસ્ક સાથે તેઓ સારવાર લેતા હોય તેવી તસવીર સામે આવી હતી. એ જ દિવસે તેમના અભિનેતા દીકરા અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ પિતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. હોસ્પિટલની તસવીર સામે આવ્યા બાદ કેટલાક ટીખળખોરોએ નરેશ કનોડિયાના મોતની અફવા ફેલાવી હતી. હિતુએ ફેસબુક પર પિતા સ્ટેબલ હોવાનો વીડિયો મૂક્યાની ૪૫ મિનિટ બાદ ભાજપી નેતા પરસોતમ રૂપાલાએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી હતી. જોકે બાદમાં ભૂલ સમજાતાં તેમણે ટ્વિટ ડિલિટ કરી હતી.
સફળ ગુજરાતી કલાકાર
નરેશ કનોડિયાનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયા પત્નીનું નામ રીમા છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતા. તેમણે ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી અભિનયની કરિયરની શરૂઆત કરી હતી.
નરેશ કનોડિયાએ ૧૨૫થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ‘હિરણને કાંઠે’, ‘મેરુ માલણ’, ‘ઢોલામારુ’, ‘મોતી વેરાણા ચોકમાં’, ‘પાલવડે બાંધી પ્રીત’, ‘પરદેશી મણિયારો’, ‘વણઝારી વાવ’, ‘તમે રે ચંપો ને અમે કેળ’, ‘જોડે રહેજો રાજ’, ‘પારસ પદમણી’, ‘કાળજાનો કટકો’ જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.

નરેશ બીમાર પડ્યા તેનો આઘાત મહેશ ઝીરવી ન શક્યા! 

સંગીતકાર અને પાટણ લોકસભા બેઠક પર ચાર વખત સાંસદ રહી ચૂકેલા મહેશ કનોડિયાનું લાંબી માંદગી બાદ ૨૫મી ઓક્ટોબરે ૮૩ વર્ષે નિધન થયું હતું. છેલ્લા છ વર્ષથી પેરાલિસીસને લીધે તેઓ પથારીવશ હતા. મહેશ - નરેશ સાથે જ રહેતા હતા. ગાંધીનગરમાં સે-૮ સ્થિત નિવાસસ્થાને રવિવારે સવારે મહેશે અંતિમ શ્વાસ લીધાં હતાં.
મહેશના ભત્રીજા હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, બે ભાઇઓ વચ્ચેનો આવો પ્રેમ મેં ક્યારેય નથી જોયો. મહેશબાપા છેલ્લા ૬ વર્ષથી બીમાર હતા. પપ્પા બીમાર પડ્યા તેનો આઘાત મહેશબાપા સહન કરી શક્યા નહોતા. જોકે વિધિની વક્રતા એ હતી કે કોરોનાને પગલે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા નરેશ મોટાભાઈ મહેશના અંતિમ સમયે મોટાભાઇનું મોઢું જોઇ શક્યા નહોતા. કનોડા ગામમાં મહેશ કનોડિયાનો જન્મ ૨૭ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ થયો હતો.
મહેશભાઈને શરદી થાય તો મને પણ થાય
મહેશ-નરેશના નામે આ ભાઈઓની જોડીએ અનેક મ્યુઝિકલ કાર્યક્રમો દેશ - વિદેશમાં આપ્યા હતા. નરેશ પુરુષ અવાજમાં અને મહેશ સ્ત્રી અવાજમાં ગાતા ત્યારે શ્રોતાઓ ઝૂમી ઉઠતા હતા. પોતાની જોડી વિશે એક ઇન્ટરવ્યુમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે, અમારાં તન ભલે અલગ હોય. અમે ભલે અલગ અલગ સમયે જન્મ્યા હોઇએ, પણ અમે એકબીજાથી એટલા જોડાયેલાં છીએ કે મહેશભાઇને શરદી થાય તો મને પણ છીંક આવે. તેમનું ગળું ખરાબ થાય તો મારું પણ થાય. અમે ક્યારેય અલગ રહી જ ના શકીએ. નરેશ કનોડિયાએ ઈન્ટરવ્યુ કહ્યા મુજબ જ બંને ભાઈઓએ દુનિયામાંથી વિદાય પણ લગભગ એક સાથે જ
લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter