ગાંધીનગરઃ ‘પાણીના ભાવે’ આ શબ્દ પાણીની કોઇ કિંમત નથી એ દર્શાવવા ઉપયોગમાં લેવાય છે પણ પાણી વેચીને સરકાર પોતાની તિજોરી પણ ભરી શકે છે. ગુજરાતસરકારે ૨૦૧૯-૨૦ માં પાણી વેચીને રૂપિયા ૧૬૨૦ કરોડની કમાણી કરી છે. રૂપિયા ૧૬૨૦ કરોડની આકારણી સામે રૂપિયા ૧૨૭૭ કરોડની વસૂલાત કરાઇ છે, જ્યારે રૂ. ૩૪૩ કરોડનાં લેણાં બાકી છે. છેલ્લાં ૨૦ વર્ષમાં પાણીથી થતી કમાણીમાં દસ ગણો વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે પાણીમાંથી રૂ. ૭૦૦૦ કરોડની કમાણી કરી છે. સરકાર દ્વારા ખેતી માટે, પીવા માટે અને ઉદ્યોગોની જરૂરિયાતો માટે પાણી નક્કી કરાયેલા દરોએ અપાય છે અને તે મુજબ આકારણી કરી વસૂલાત કરાય છે. ૧૯૯૯-૨૦૦૦માં રૂપિયા ૧૯૦ કરોડની આકારણી સામે રૂપિયા ૧૦૦ કરોડની વસૂલાત થઇ હતી.