અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દસમી ફેબ્રુઆરીએ ૨૪મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ખાસ હાજર રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ગુનો ઉકેલાઇ જવાનો ભય ગુનાને નિયંત્રણમાં રાખી શકે છે.
ફોરેન્સિક નિષ્ણાતો ગુનાઓની શોધ, તેની તપાસમાં અને ગુનેગારોની ઓળખમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. એટલું જ નહીં, આપણા યુવાનોને કટ્ટરતા તરફ આગળ ધપતાં રોકવામાં પણ તેઓની મહત્વની ભૂમિકા છે. રાજનાથ સિંહે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓએ ફોરેન્સિક વિષયમાં સમાન અભ્યાસક્રમ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જોઇએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકએઈન ટેકનોલોજી, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, થ્રીડી પ્રિન્ટીંગ, રોબોટિક્સ અને ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ જેવી નવી ટેકનોલોજીને કારણે સલામતી સામે પડકારો ઊભા થયાનું પણ તેમણે ધ્યાન દોર્યું હતું.


