અમદાવાદ: રથયાત્રા ન યોજાતાં અમદાવાદ જગન્નાથ મંદિરના નારાજ મહંત દિલીપદાસજીએ રથયાત્રાની સાંજે જ કહ્યું હતું કે, મંગળા આરતી સુધી કહેવાયું કે રથયાત્રા કાઢીશું જ, ભરોસો રાખો પણ વિશ્વાસઘાત થયો. હવે મારું જીવન નિરર્થક છે. સરસપુર રણછોડરાયજી મંદિરના મહંત લક્ષ્મણદાસજીએ આક્રોશ ઠાલવ્યો કે, રાજ્યના મુખ્ય પ્રધાન, મંદિરના ટ્રસ્ટી અને મહંતનું અકાળે મૃત્યુ થવાનો શોક! તેઓ કહેવા માગતા હતા કે, રથયાત્રા ન કાઢવામાં આવી તેનું ખૂબ જ દુઃખ થયું છે. વિહિપના ડો. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, દેવશયની એકાદશીએ રથયાત્રા કાઢીએ તો પરંપરા જળવાઈ શકે તો કોંગ્રેસી પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપનો હિન્દુત્વનો નકલી નકાબ ચિરાઇ ગયો. એનો જવાબ આપતાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારે આ માટે પૂરતા પ્રયત્ન કર્યાં હતાં. આ હોબાળા પછી દિલીપદાસજીએ ૨૪મી જૂને ગૃહ રાજ્ય પ્રધાન સાથેની બેઠક બાદ શબ્દો ફેરવીને કહ્યું કે, સરકાર કે કોઈ વ્યક્તિ સામે નારાજગી નથી. સુપ્રીમ કોર્ટે પુરીની યાત્રાને મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે હાઇ કોર્ટમાં અમદાવાદમાં રથયાત્રા નીકળે તે માટે એફિડેવિટ કરી. હાઇ કોર્ટે મોડી રાત્રે મંજૂરી આપી ન હતી. આ ચુકાદો વહેલો મળ્યો હોત તો સુપ્રીમમાં જઈ શકાત.