અમદાવાદ: ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા અમૃતભાઈ પટેલ નામના કારસેવકના પરિવારને ૧૬ વર્ષે ન્યાય મળ્યો છે. રેલવે ટ્રિબ્યુનલે તેમના પરિવારને વળતર પેટે રૂ. ૮ લાખ વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો છે. અમૃતભાઈ પટેલની લાશ ૧૯ વણઓળખાયેલી લાશ પૈકીની હતી.
મૃતક અમૃતભાઈના પત્ની સહિત અન્યોએ સિનિયર કાઉન્સિલ ડી. જી. શુક્લ મારફતે રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલમાં વળતર માટે પિટીશન કરી હતી. અમૃતભાઈ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યાથી અમદાવાદ તરફ સાબરમતી એક્સપ્રેસ દ્વારા આવી રહ્યા હતા. ત્યારે તોફાની ટોળાએ એસ-૬ ડબ્બાને આગ લગાવી દેતા તેઓ મૃત્યુ પામ્યા હતા. એસ-૬માં તેમની સંપૂર્ણ કોલસો બની ગયેલી લાશ મળી હતી. જેથી તેમની લાશની ઓળખ થઈ નહોતી.
દરમિયાન લાશની ઓળખ માટે સરકારે ડીએનએ ટેસ્ટ કરતા વણઓળખાયેલી ૧૯ લાશના દાંત અને ટિશ્યુની તપાસ કરાઈ હતી. આ
ટેસ્ટમાં ૧૯ નંબરની લાશ અમૃત પટેલની હોવાનું સ્પષ્ટ થયું હતું.

