અમદાવાદ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અપહરણ કરવાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય અદાલતે ફઝલુ રહેમાન અને તેના સાગરીત ભોગીલાલ દરજીને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કર્યા છે. આ કેસમાં જુબાની માટે ભોગ બનનાર મુખ્ય સાક્ષી ગૌતમ અદાણીને જ કોર્ટમાં હાજર રહેવામાંથી સરકારે મુક્તિ માગી હતી. પોલીસ ફરિયાદમાં ૧લી જાન્યુ., ૧૯૮૮ના રોજ ગૌતમ અદાણી અને શાંતિલાલ પટેલ સાંજે ૭.૩૦ વાગ્યાના સુમારે કર્ણાવતી કલબથી મહમંદપુરા તરફ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. દરમિયાન અદાણીની કારની બાજુમાં એક ફ્રન્ટી કાર આવી અને તેમાંથી કેટલાક માણસો ઉતર્યા હતા અને તેમને રિવોલ્વરની અણીએ કારમાં બેસાડ્યા અને ગુપ્ત સ્થળે લઈ ગયા હતા. ત્યાર બાદ તેમને મુક્ત કરવા પરિવાર પાસેથી ખંડણી માગી હતી.


