ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા ગૌવંશ હત્યાના બિલને રાજ્યપાલ ઓ. પી. કોહલીએ મંજૂરીની મહોર મારી છે. આ સાથે જ રાજ્યમાં ગૌવંશની હત્યા કરનારાને આજીવન કેદ અને ગૌમાંસની હેરફેર, વેચાણ અને પ્રદર્શન કરનારી વ્યક્તિ સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરાશે. ગૌવંશની ગેરકાયદે હેરફેર કરનારા વાહનો જપ્ત કરાશે અને ગૌવંશની હેરફેર માટે પરમીટ આપવાની સત્તા અધિકારીઓને અપાશે. ગૌવંશ-પશુઓની ગેરકાયદે કતલ રોકવા કાયદા લાગુ કરનારું ગુજરાત દેશનું આ પ્રથમ રાજ્ય છે.
રાજ્યમાં ગૌવંશ અને પશુઓની ગેરકાયદે હત્યા અને હેરફેર અટકાવવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારની દૃઢ રાજકીય ઈચ્છાશક્તિથી મંજૂર કરેલા ખરડાને રાજ્યપાલે સમર્થન આપ્યું છે. એમ જણાવતાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કઠોર કાયદાના અમલથી ગૌવંશના દોષિતોને આજીવન કેદની પરંતુ ૧૦ વર્ષથી ઓછી નહીં તેટલી કેદ થશે અને રૂ. પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થશે.
સજાની જોગવાઈ
• આજીવન કેદની સજા પરંતુ ૧૦ વર્ષથી ઓછી નહીં અને રૂ. પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ
• ૧૦ વર્ષ સુધીની કેદ પરંતુ સાત વર્ષથી ઓછી નહીં, ઉપરાંત રૂ. એક લાખથી ઓછો નહીં અને રૂ. પાંચ લાખ સુધીનો દંડ.
• તમામ ગુનાઓ બિન જામીનપાત્ર અને પોલીસ અધિકારના ગણાશે.
• હેરફેર, વેચાણ/સંગ્રહ/ ઉપયોગમાં લેવાયેલાં વાહનો જપ્ત કરાશે.
• પશુઓની હેરફેર માટેની ઓથોરિટીમાં ફેરફાર કરીને સક્ષમ અધિકારીને સત્તા અપાશે.


