રાજકોટ: કોરોના મહામારીને પગલે ચીનમાં કાર્યરત સંખ્યાબંધ વિદેશી કંપનીઓ ચીન છોડે તેવી ઊભી થયેલી સંભાવનાઓને પગલે આવી કંપનીઓને ગુજરાતમાં આમંત્રિત કરવા ગુજરાત સરકારે એક્શન પ્લાન ઘડ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જણાવ્યા મુજબ આ એક્શન પ્લાનના ભાગરૂપે સરકારે વિવિધ ઔદ્યોગિક વસાહતો ખોરજ, સાણંદ, દહેજ સેઝ, ધોલેરા સેઝ તેમજ અન્ય પ્રાઇવેટ સેઝમાં ઉપલબ્ધ આશરે ૩૩,૦૦૦ હેક્ટર જમીન, તેની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. પ્લગ એન્ડ પ્રોડ્યુસ સુવિધા જીઆઈએસ બેઝ્ડ લેન્ડ બેન્કના માધ્યમથી કંપનીઓને સરળતાએ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય પણ લીધો છે.
રાજ્યમાં જે નવા ઉદ્યોગો આવે તેમને મંજૂરીની તમામ પ્રક્રિયા ઓનલાઇન પૂરી કરીને માત્ર ૭ દિવસમાં જમીન ફાળવણી સહિતની અન્ય જરૂરી પરવાનગીઓ પણ માત્ર ૧૫ દિવસમાં જ આપી દેવાનું નક્કી કરાયું છે. વિવિધ દેશોમાં ઉદ્યોગોને જમીન મેળવવા સહિતની પ્રારંભિક કામગીરીમાં સરળતા માટે ગુજરાતમાં અલગ અલગ ડેસ્ક બનાવવા, આવા પ્રોજેક્ટ્સના સંકલન માટે નોજલ ઓફિસર નિમવાનો નિર્ણય લેવાયો છે. નવા આવનારા પ્રોજેક્ટ્સ પ્રોડક્શન શરૂ કરે ત્યાંથી તેના ૧૨૦૦ દિવસ સુધી લધુતમ વેતન દર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી રૂલ્સ, શ્રમિક અક્સ્માત વળતરની જોગવાઇઓના અમલ સિવાયના અન્ય કાયદાઓની જોગવાઇઓમાંથી મુક્તિ આપવાનું નક્કી કરાયું છે.
મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ એમ. કે. દાસ અને શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં આ નિર્ણયો લઇ સંબંધિત વિભાગોને આ અંગેની સૂચનાઓ પણ જારી કરી દીધી છે. કોરોના વાઈરસની સ્થિતિને પગલે જાપાન, કોરિયા, એશિયન દેશો, અમેરિકા અને યુરોપના દેશોની ઘણી કંપનીઓ તેમના ઉત્પાદન એકમો હવે ચીનથી ખસેડીને અન્ય દેશો તરફ લઇ જવા વિચારી રહી છે. ત્યારે આવી વિદેશી કંપનીઓ માટે ખાસ કરીને ગુજરાત એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહે તે દિશામાં સક્રિય આયોજનો કરવાની પ્રક્રિયા આરંભાઇ છે.
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગે, કેન્દ્ર સરકારના ડિપોર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલના પ્રમોશન, વિદેશ મંત્રાલયના સહયોગથી જે-તે રાષ્ટ્રોની એમ્બેસિઝનો અને તેમના ઉદ્યોગોનો સંપર્ક કરીને ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કરવા પરામર્શ શરૂ કરી દીધો છે. જાપાન એક્સર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જેટ્રો), કોરિયાની કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટેમેન્ટ પ્રમોશન એજન્સી(કોટ્રા), અમેરિકાની યુ.એસ.આઇ.એસ.પી.એફ અને યુ.એસ.આઇ.બી.સી.ના સંકલનમાં સરકારે કાર્યવાહી ધરી છે.
મુખ્ય પ્રધાને, શ્રમ સુધારા લેબર રિફોર્મ્સ માટે પણ કેટલીક જાહેરાતો આ બેઠકમાં કરી છે. તેમણે નવા આવનારા પ્રોજેક્ટ્સને તેઓ પ્રોડક્શન શરૂ કરે કે તેના ૧૨૦૦ દિવસ સુધી લઘુતમ વેતન દર, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી રૂલ્સ, શ્રમિક અક્સ્માત વળતરની જોગવાઇઓના અમલ સિવાય અન્ય કાયદાઓની જોગવાઇઓની મુક્તિ આપવા નિર્ણય કર્યો છે. રાજ્યના શ્રમ વિભાગને હેતુસર ઓર્ડિનન્સ તૈયાર કરવા સૂચન આપી છે.