અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૫૯૭ ફૂટ ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણની ૪૦ ટકા કામગીરી ચીનમાં પૂર્ણ થઈ ગઈ છે. સરદાર સરોવર ડેમથી ૩ કિ.મી.ના અંતરે નર્મદા નદીના પટમાં આ વિશાળ પ્રતિમાનું આશરે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ લોકાર્પણ થાય તેવી સંભાવના છે. આ પ્રતિમાના ટુકડા ચીનમાં બનશે તેમ તેમ સ્ટીમરથી ભારત મોકલાશે. આગામી ૮-૧૦ મહિનામાં પ્રતિમાનો તમામ હિસ્સો ટુકડાઓમાં ભારત આવશે અને ભારતમાં ટુકડાઓ જોડીને પ્રતિમા બનાવાશે. આ વિશ્વની સર્વોચ્ચ પ્રતિમાઓ પૈકીની એક હશે. હાલમાં પ્રતિમાનો કમર નીચેનો હિસ્સો તૈયાર છે અને ધડ, ખભાના નિર્માણની કામગીરી ચાલે છે.
૧૮૨ મીટર ઊંચાઈની આ પ્રતિમાનું વજન ૧૭૦૦ ટન હશે. મૂર્તિની પગની લંબાઈ ૮૦ ફૂટ, ચહેરો ૭૦ ફૂટનો, ૧૪૦ ફૂટ ખભાની ઊંચાઈ અને ૭૦ ફૂટ હાથની લંબાઈ હશે. યુએસની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમાની ઊંચાઈ ૯૩ મીટર છે.


