અમદાવાદઃ ગુજરાત ચેમ્બરમાં વક્તવ્ય આપતાં ભારતના ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, સંસદની માત્ર ૫૪૨ બેઠક પર ચૂંટણી લડી રહેલા ૮૦૦૦ જેટલા ઉમેદવારો માટે ૧૦.૩૫ મતદાન મથકો ઊભા કરવા માટેનો ખર્ચ કરવાની સાથોસાથ જ આઈએએસ, આઈપીએસ અધિકારીઓનો કાફલો, આર્મી અને પોલીસ દળો તથા સરકારી કર્મચારીનો ઉપયોગ કરવા માટે કરવો પડતો અબજોનો ખર્ચ ઓછો કરવા માટે અને માનવ કલાકો બગડતા અટકાવવા માટે વન નેશન, વન ઈલેક્શન અનિવાર્ય જરૂરિયાત છે.
સુશીલ ચંદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભા-વિધાનસભાની ચૂંટણી પાંચ પાંચ વર્ષના અંતરે જ થાય છે. આ સ્થિતિમાં બંને ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે તો ખર્ચમાં બચત થઈ શકે છે. પાંચ વર્ષના અંતે વર્ષના કોઈ નિશ્ચિત માસમાં સંસદ અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ જાય એવું આયોજન કરવું જોઈએ. તે પહેલાં જેમની મુદ્દત પૂરી થઈ ગઈ હોય તેમને એક્સટેન્શન આપી દઈને લોકસભાની ચૂંટણી સાથે જ તેની ચૂંટણી આવે તેવી વ્યવસ્થા કરી શકાય છે. તેમજ જે વિધાનસભાની મુદ્દત થોડી બાકી હોય તેમની ચૂંટણી થોડી વહેલી યોજી દઈને દેશની તમામ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી સાથે જ થાય તો ખર્ચ અને માનવકલાકોની જંગી બચત થઈ શકે છે.