નવી દિલ્હી: જન્મભૂમિ પત્રોના નવી દિલ્હી ન્યૂઝ બ્યૂરોના વડા આનંદ કે. વ્યાસનું 23 જાન્યુઆરીએ મોડીરાત્રે હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થતાં જન્મભૂમિ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ 56 વર્ષના હતા. જન્મભૂમિ અખબાર જૂથના મેનેજિંગ એડિટર કુંદનભાઈ વ્યાસના વચેટ પુત્ર આનંદભાઈ 2000થી નવી દિલ્હીના બ્યૂરોમાં કાર્યરત હતા. આ દરમિયાન તેઓ નિયમિત સંસદની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત દેશનાં રાજકારણમાં થતી ઊથલપાથલ અને ઘટનાઓના અહેવાલો સાથે સાંપ્રત સ્થિતિનું સચોટ વિશ્લેષણ કરવા માટે તેઓ જાણીતા હતા. એલએલબી થયેલા આનંદભાઈ પત્રકારત્વમાં આવ્યા એ પહેલાં પાંચ વર્ષ સિનિયર એડવોકેટ તરીકે નવી દિલ્હીમાં પ્રેક્ટિસ કરી હતી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના તત્કાલીન મેનેજિંગ ટ્રસ્ટીના આગ્રહથી તેઓ નવી દિલ્હીના ન્યૂઝ બ્યૂરોમાં જોડાયા હતા. મિલનસાર આનંદભાઈ એકદમ સ્વસ્થ હતા, શુક્રવારે રાત્રે એકાએક આવેલા હૃદયરોગના હુમલાને પગલે તેમનું અવસાન થયું છે.


