ગાંધીનગરઃ વડા પ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આરંભે પ્રથમ તબક્કામાં અમદાવાદથી વાપી સુધીના ૩૨૫ કિ.મી. વિસ્તારમાં હાથ ધરવામાં આવશે. અહેવાલ મુજબ વાપીથી બાન્દ્રા સુધીની બુલેટ ટ્રેન બીજા તબક્કામાં દોડશે. આ પરથી બુલેટ ટ્રેન તબક્કાવાર ભારતમાં ઓપરેટ થવાની યોજના છે. રેલવે બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની ૮૦ ટકા કામગીરી પૂરી થઇ છે, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદન માટે હજી સમય લાગે તેમ હોવાથી પ્રોજેક્ટમાં વિલંબ થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, આ સંબંધમાં મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટો ચાલે છે. વર્ષ ૨૦૨૧ના માર્ચ- એપ્રિલમાં મહારાષ્ટ્રમાં પણ જમીન સંપાદનની ૮૦ ટકા કામગીરી પૂરી થઇ જશે. રેલવે મંત્રાલયને પણ આ અંગે જાણ કરાઈ છે કે મહારાષ્ટ્ર સરકાર જો સહકાર નહીં આપે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તબક્કાવાર હાથ ધરવામાં આવશે.
જાપાનના ભારત ખાતેના દૂતાવાસે તાજેતરમાં જાપાનમાં દોડી રહેલી ઇ-૫ શ્રેણીની શિન્કાનસેન (બુલેટ ટ્રેન)ની તસવીરો જારી કરી હતી. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલવે માટે આ શ્રેણીની બુલેટ ટ્રેનમાં સુધારા થશે. ભારતનો આ સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. તાઇવાન પછી તે બુલેટ ટ્રેનને જાપાન પાસેથી ખરીદનારો ભારત બીજો દેશ બની રહેશે. અમદાવાદ – મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો શિલાન્યાસ વડા પ્રધાન મોદી અને તત્કાલીન જાપાની વડા પ્રધાન શિન્જો આબેએ ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કર્યો હતો.