જયપુર: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૨મી સિઝન માટે જયપુરમાં મંગળવારે પ્લેયર્સનું ઓક્શન યોજાયું હતું, જેમાં પોરબંદરના પ્રતિભાશાળી ખેલાડી જયદેવ ઉનડકટને જેકપોટ લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સે રૂ. ૧.૫ કરોડની બેઝ પ્રાઇસ ધરાવતા ઓલરાઉન્ડર જયદેવને રૂ. ૮.૪ કરોડની ઊંચી કિંમતે ખરીદયો છે. જ્યારે અમદાવાદના લેફ્ટ આર્મ સ્પિનર અને નીચલી હરોળના બેટ્સમેન અક્ષર પટેલને રૂ. ૫ કરોડમાં દિલ્હી ડેરડેવિલ્સે કરારબદ્ધ કર્યો છે. જોકે દિવસનું સૌથી મોટું આશ્ચર્ય વરુણ ચક્રવર્તીએ સર્જ્યું હતું. માત્ર ૨૦ રૂપિયાની બેઝ પ્રાઇસ ધરાવતા તામિલનાડુના યુવા સ્પિનરને કિંગ્સ ઇલેવન પંજાબે રૂ. ૮.૪ કરોડની તોતિંગ કિંમતે ખરીદયો હતો.
આ ઉપરાંત હનુમા વિહારી માટે રૂ. ૨ કરોડ, શિમરોન હેટમાયર માટે રૂ. ૪.૨ કરોડ, કાર્લોસ બ્રેથવેટ માટે રૂ. ૫ કરોડ, ગુરકીરત સિંહ માટે ૫૦ લાખ, મોજિજ હેનરીક્સ માટે રૂ. ૧ કરોડ, અક્ષર પટેલ માટે ૫ કરોડ, જોની બેરિસ્ટો માટે રૂ. ૨.૨ કરોડ, નિકોલસ પૂરન માટે ૪.૨ કરોડ, તેમજ રિદ્ધિમાન સહા માટે ૧.૨ કરોડની બોલી લાગી હતી. રિદ્ધિમાન સાહાને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ માટે પ્રથમ રાઉન્ડના અંત સુધીમાં કોઈએ બોલી લગાવી નહોતી. બાદમાં મુંબઇ ઇંડિયન્સે યુવરાજ સિંહને ૧ કરોડની બેઝ પ્રાઇસમાં જ ટીમમાં સામેલ કર્યો હતો.
ગત સિઝનમાં યુવરાજ સિંહની બેઝ પ્રાઇઝ રૂ. બે કરોડ હતી, જે આ વર્ષે ઘટાડી રૂ. એક કરોડ કરાઇ હતી છતાં કોઇ તેનું લેવાલ નહોતું. બીજી તરફ, વરુણ એરોનને રાજસ્થાન રોયલ્સે રૂ. ૫૦ લાખની બેઝ પ્રાઇસ સામે રૂ. ૨.૪ કરોડમાં ખરીદયો છે. વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરનને કિંગ્સનાઇટ ઇલેવન પંજાબે
રૂ. ૪.૨૦ કરોડ (બેઝ પ્રાઈસ રૂ. ૭૫ લાખ)માં ખરીદયો છે.
ઝહીર ખાન મુંબઈ ઈન્ડિયન્સ સાથે
ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ઝહીર ખાનને ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર પદે નિયુક્ત કર્યો છે. હરાજી પૂર્વે જ આ જાહેરાત કરાઈ હતી અને હરાજી વેળા ટીમ વતી હાજર પણ રહ્યો હતો. ઝહીર અગાઉ ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૪ની આઈપીએલમાં મુંબઈ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.


