વિશ્વના સૌથી મોટા ટ્રેડ અને ઇન્ડસ્ટ્રિયલ ફેર પૈકીના જર્મનીના હેનોવર મેસ્સી ટ્રેડ ફેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત મોડેલ છવાયું છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ રાષ્ટ્રોના નવ દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાને ૧૨થી ૧૪ એપ્રિલ જર્મનીની મુલાકાત લીધી છે. આ ફેરમાં ભારત પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા જર્મનીના ચાન્સેલર સંયુક્ત રીતે ફેરનું ૧૨મીએ ઉદ્ઘાટન કર્યું હતું. હેનોવર ફેરમાં ઇન્ડિયા પેવેલિયન રખાયું છે જેમાં દેશના ૧૩ જેટલા રાજ્યો જોડાશે. ઉદ્યોગ કમિશનર મમતા વર્માના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે હેનોવર ફેરમાં ભાગ લીધો હતો. ઇન્ડેક્ષ-બીના એમડી રૂપવંત સિંઘે જણાવ્યું કે, જર્મની ઓટોમોબાઇલ અને એમએસએમઇ ક્ષેત્રમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટેના પ્રયાસો રહેશે.
અમદાવાદમાં ૭૯ દિવસમાં દાણચોરીનું ૮૨ કિલો સોનું પકડાયુંઃઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમ જ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ૨૫ જાન્યુઆરીથી ૧૩ એપ્રિલ સુધીમાં દાણચોરીથી આવતું રૂ.૨૨.૩૮ કરોડની કિંમતનું ૮૨ કિલો સોનું પકડાયું છે. આ ૭૯ દિવસ દરમિયાન જુદી જુદી ૧૮ ઘટનામાં સંખ્યાબંધ લોકો પકડાયા હતા. ૨૪ ફેબ્રુઆરીએ એરપોર્ટ પરથી સૌથી વધુ રૂ. ૧૬.૨૦ કરોડની કિંમતનું ૬૦ કિલો સોનું સ્પેશ્યિલ ઓપરેશન ગ્રૂપે પકડી પાડ્યું હતું. સોમવારે રૂ.૫૩.૪૪ લાખના સોનાની સ્મગ્લિંગ કરતા યુવકને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો હતો.
ઇન્ટ્રાસ્ટેટ એરલાઇન સેવા બંધ થઇઃ ગુજરાત સરકારના સહયોગથી જાન્યુઆરીમાં ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી નિમિત્તે ગુજસેલ અને મેહએર એવીએશનના દ્વારા રાજ્યમાં ઇન્ટ્રા એર સર્વિસ શરૂ થઇ હતી. હવે આ સર્વિસ બંધ થઇ ગઇ છે. સૂત્રો કહે છે કે મુસાફરો ન મળવાને કારણે હાલ પૂરતી સર્વિસ બંધ કરવામાં આવી છે. પ્રથમ તબક્કે નવ-નવ સીટરના બે એરક્રાફટ મૂકી અમદાવાદથી ભૂજ અને પોરબંદરની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. જેનું ભાડુ રૂ. ૪૫૦૦થી ૫૦૦૦ રખાયું હતું. જો મુસાફરો મળ્યા હોત તો અમદાવાદથી રાજકોટ, ભાવનગર અને સુરતની ફ્લાઇટ પણ શરૂ કરવાની હતી. આ અગાઉ ડેક્કન શટલે ઇન્ટ્રા કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો પરંત તે પણ પ્રવાસીઓના અભાવે બંધ થયો હતો.
ફરજિયાત મતદાનના કાયદાને રાજ્યપાલની મંજૂરીઃ દેશમાં પ્રથમવાર ગુજરાત સરકારે પાલિકા અને પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજિયાત મતદાનની જોગવાઈ કરતા ગુજરાત લોકલ ઓથોરિટીઝ લોઝ (એમન્ડમેન્ટ)- ૨૦૦૯ની અમલવારી શરૂ કરી છે. આ નવા કાયદાને ગુજરાતના રાજ્યપાલે મંજૂરી આપી છે. બીજીતરફ ગુજરાત સરકારે આગામી ઓક્ટોબરથી શરૂ થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરજિયાત મતદાન અંગે નાગરિકોનો અભિપ્રાય માંગ્યો છે. અને તેના માટે એક કમિટીની રચના પણ કરી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે રિટાયર્ડ આઈએએસ અને તત્કાલીન રાજ્ય ચૂંટણી કમિશનર કે.સી.કપૂરની નિમણૂક કરવામાં આવી છે.
બાકરોલમાં અનોખા જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવઃ ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૧૨ એપ્રિલથી ભુવનભાનુ શાંતિધામ, બાકરોલ, અમદાવાદ ખાતે ૫૧૧ જિનબિંબો જ્યાં પરિવૃત્ત શ્રીશાંતિનાથ દાદાની ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ જિનાલય રાજ્યનું એવું પ્રથમ જિનાલય છે જ્યાં ૫૧૧ પ્રતિમાઓ એકસાથે નિહાળી શકાય છે. જેને શિલ્પશાસ્ત્ર, આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જીનીયરિંગનાં ત્રિવેણી સંગમથી બનાવાયું છે. જ્યારે મૂળનાયક પ્રતિમા ઉપર પિરામીડ રાખવામાં આવ્યા છે, જેનાથી મૂળનાયક ભગવાનનાં દર્શન કરતાં અહીં વિશિષ્ટ ઊર્જાની પ્રાપ્તિ થાય છે. ઉલ્લેખનીય છે કે ૧૨ દિવસીય મહોત્સવ દરમિયાન ગચ્છાધિપતિ ભગવંત સહિત ૩૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહેશે.