અમદાવાદઃ જાણીતા વાર્તાકાર, કવિ અને નવલકથાકાર ઊજમશી પરમારનું સોમવારે સાંજે નિધન થયું હતું. તેઓ છેલ્લા થોડા સમયથી લિવરના કેન્સરની બીમારીથી પીડાતા હતા. ૭૪ વર્ષના આ સાહિત્યકારે આપણને વાર્તા સંગ્રહો ‘ઊંચી જાર નીચાં માનવી’, ‘ટેટ્રાપોડ’, ‘પટારો’ અને ‘હારોહાર’ આપ્યા હતા. તેમના પ્રથમ વાર્તા સંગ્રહ ઊંચી જાર નીચાં માનવીને રાજ્ય સરકારનો અને બીજા વાર્તા સંગ્રહ ટેટ્રાપોડને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમનાં એક કાવ્ય સંગ્રહ ઘટમાં ઝાલર બાજેમાં ગીત સ્વરૂપની રચનાઓ મુખ્ય છે. તેમણે જન્મારો નામની નવલકથા પણ લખી હતી. તળપદી અને ગ્રામ્ય જીવનની વાર્તાઓમાં તેમનું સવિશેષ પ્રદાન રહ્યું હતું. સાહિત્ય ઉપરાંત અન્ય લલિતકળાઓમાં પણ તેમનાં વિશેષ રસરુચિ હતાં. તેમનો જન્મ ૧૧ જૂન ૧૯૪૩ના રોજ સુરેન્દ્રનગરના લીંબડી ગામે થયો હતો.

