સમગ્ર દેશની નજર હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે, ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠકથી ઉમેદવારી નોંધવાનારા ઉમેદવારે કૌતુક સર્જ્યું છે. અમદાવાદના નિવાસી અને ગાંધીનગર દક્ષિણથી ઉમેદવારી નોંધાવનારા મૂળ રિક્ષાચાલક રાજવીર હવે ચૂંટણી સંગ્રામમાં ઝુકાવી રહ્યા છે. રાજવીરનું માનવું છે કે ચૂંટણી જાતિવાદના નામ પર ન લડાવી જોઈએ. જાતિવાદના નામ પર લડાનારી ચૂંટણી સમાજના ભાગલા પાડે છે, અને તેઓ સમાજને એક રાખવા માગે છે. આ જ કારણસર તેમણે ઉમેદવારી પત્રમાં પોતાનું નામ RV155677820 દર્શાવ્યું છે. જાતિની માન્યતા દૂર કરવા રાજવીરે અમદાવાદ અને રાજકોટ જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી. જો કે જિલ્લા કોર્ટ દ્વારા બંને અરજીને ફગાવી દેવાતાં 2019માં રાજવીરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે હાલમાં પણ પેન્ડિંગ છે. ચૂંટણીપંચમાં આપેલા એફિડેવિટમાં રાજવીરે જાતિ-સમુદાય અને ધર્મનો ઉલ્લેખ કર્યો નથી. રાજવીકે કહ્યું છે કે, જો આ જાણકારી ન આપવામાં આવતાં તેની ઉમેદવારી રદ કરવામાં આવશે તો તે કોર્ટમાં જશે.