જાદુગર જુનિયર ‘કે.લાલ’નું નિધન

Thursday 08th April 2021 06:50 EDT
 
 

અમદાવાદઃ પોતાની જાદુકળા અને હાથની રમતથી ભલભલા જાણકારોને પણ અચરજમાં મૂકી દેનાર જાદુગર જુનિયર કે. લાલે કોરોના સામે શરણાગતિ સ્વીકારી લેવી પડી છે. વિશ્વપ્રસિદ્ધ જાદુગર કે. લાલના પુત્ર જુનિયર કે. લાલ હર્ષદરાય વોરાનું નિધન થયું છે. ૩૨ વર્ષ સુધી પિતા-પુત્રએ એક સાથે એક જ સ્ટેજ પર વિશ્વના ખૂણે ખૂણે જાદુના શો કર્યા હતા. હસુભાઈએ પણ જુનિયર કે. લાલ તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. ૧૯૬૮માં અમેરિકાની આઈબીએમ કંપનીએ તેમને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો હતો. કોરોના સંક્રમણનો ભોગ બનેલા હસુભાઈનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રવિવારે હાર્ટ એટેકથી તેમનું અમદાવાદની સાલ હોસ્પિટલમાં નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે જુનિયર કે. લાલને માતા-પિતા જાદુના ક્ષેત્રે લાવવા માગતા ન હતા. જુનિયર કે. લાલ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઈને ખબર ન પડે તે રીતે પ્રવેશ્યા હતા. લાલ પરિવાર મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાનો બગસરાનો વતની હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter