રાજકોટઃ કોઠારિયા મેઈન રોડ પર ફાયર બ્રિગેડ સામે એક માણસે જાહેરમાં પોતાની જીપ સળગાવ્યાનો વીડિયો વાયરલ થતાં તેના આધારે ભક્તિનગર પોલીસે તપાસ કરી ગુનો દાખલ કરી જીપ સળગાવનાર ઈન્દ્રજીતસિંહ નાથુભા જાડેજા અને તેનો વીડિયો ઉતારનાર નિમિષ ઉર્ફે મુન્ના અમૃતલાલ ગોહેલની ધરપકડ કરી હતી.
આરોપીઓએ જાહેર રોડ પર જીપ સળગાવી હતી. જેને કારણે ત્યાં કોઈ ગંભીર અકસ્માતની શક્યતા હતી અથવા તો આગથી કોઈ માણસને ઈજા થઈ શકે તેમ હતી.
પોલીસે જણાવ્યું કે આરોપી ઈન્દ્રજીતસિંહને પારસી અગિયારી ચોકમાં ઓટો પાર્ટસની દુકાન છે. જે જીપ સળગાવી તે તેની માલિકીની છે. ગણપતિ સ્થાપન વખતે તેના મિત્રોએ ગણપતિજીની મૂર્તિ લઈ આવવા જીપ માગી હતી, પરંતુ જીપ સ્ટાર્ટ થઈ ન હતી. જેથી મિત્રોએ મજાકમાં તો આ જીપ સળગાવી નાંખવાનું કહેતા ગુસ્સો ચડતાં જીપ સળગાવી હતી જ્યારે આ વખતે મિત્ર નિમિષે તેનો વીડિયો ઉતાર્યો હતો. જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાંથી કોઈએ આ વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસે બંને આરોપીઓને કાયદાનું 'ભાન' કરાવ્યું હતું.