ભાવનગરઃ રામજીભાઈ પરમારે અવિવા લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીની બ્રાન્ચમાં લાઈફ લોંગ યુનિટ લિંક જીવન વીમા પોલિસી અંતર્ગત રૂ. ૧૫ લાખનો વીમો કરાવ્યો હતો. વીમા પોલિસીનો ગાળો ૩૧ માર્ચ ૨૦૦૮થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૬૯ સુધીનો હતો. દરમિયાન ૧૫ એપ્રિલ ૨૦૦૮ના રોજ એટલે કે ૧૫ દિવસના ગાળામાં જ વીમેદારનું અવસાન થયું હતું. તેમના વારસદાર રેખાબહેન રામજીભાઈ પરમારે વીમાની રકમ ક્લેઈમ કરી તો કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો હતો. એ પછી આ કેસ નવી દિલ્હીમાં નેશનલ કન્ઝયુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન સુધી પહોંચ્યો. નેશનલ કમિશને જણાવ્યું કે, જીવન વીમાના પ્રપોઝલ ફોર્મમાં અગાઉના વીમાની પોલિસીની હકીકત વીમાધારકે જાહેર ન કરી હોય તો તે મહત્ત્વની હકીકત છુપાવી હોવાનું કહી શકાય નહીં. વીમા એજન્ટે ફોર્મ ભર્યું હતું અને વીમેદારે માત્ર સહી કરી હતી. નેશનલ કમિશને વીમાકંપનીને આદેશ કર્યો કે ગ્રાહકના પરિવારને જીવન વીમા અંગેની રકમ રૂ. ૧૫ લાખ ૬ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપે.

