અમદાવાદઃ જૈન સમાજમાં બાળકોને સંસાર ત્યાગીને દીક્ષા લેવાના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈને યોગ્ય પગલા લે અને જો જરૂર જણાય તો તેના માટે કાયદો પણ બનાવે તેવો અભિગમ હાઇ કોર્ટે વ્યક્ત કર્યો છે. આવા કિસ્સાઓમાં સરકારોએ માત્ર મૂકસાક્ષી બન્યા વગર એક વાલી તરીકેનું વર્તન કરવું જોઈએ.
મુંબઈ અને અમદાવાદમાં ફેલાવો ધરાવતા સન્માર્ગ નામના એક મેગેઝીનના પ્રકાશક રમેશભાઈ વોરા, જૈન મુનિ આચાર્યશ્રી કિર્તીયશુરિશ્વરજી મહારાજ સહિત છ વ્યક્તિઓ સામે જશ્મીનભાઈ શાહ નામના વ્યક્તિએ પહેલા મુંબઈ પોલીસમાં અને પછી અમદાવાદની કોર્ટમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો હતો કે આચાર્ય બાળદીક્ષાને ઉત્તેજન આપે છે અને બાળકો નાની વયે સંસારનો ત્યાગ કરીને દીક્ષા લે તે માટે લલચાવે છે. ૨૦૦૯માં સન્માર્ગ મેગેઝીનમાં કેન્દ્ર સરકારનો એક ખોટો પરિપત્ર છાપવામાં આવ્યો હતો તેમાં જણાવાયું હતું કે, બાળકોને દીક્ષા આપવામાં આવે તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ લાગુ પડતો નથી. જોકે શાહે આરટીઆઇમાં અરજી કરતાં આ પરિપત્ર ખોટો હોવાનું માલુમ પડતા કોર્ટમાં તેમણે જૈન મુનિ સહિત છ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોર્ટે તમામ સામે પ્રોસેસ ઇસ્યુ કર્યા હતા. આથી આ કાર્યવાહી રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી.