અમદાવાદઃ ભારતીય અવકાશ વિજ્ઞાનના સ્વપ્નદૃષ્ટા ડો. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા એક સંબોધનમાં કહ્યું હતું કે ડો. સારાભાઈની દૂરંદેશીએ ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની મહાસત્તા બનવામાં મદદ કરી છે. અમદાવાદમાં ડો. સારાભાઈની જન્મ શતાબ્દીની ઊજવણી દરમિયાન વિડીયો મેસેજના માધ્યમથી આ સંબોધન કર્યું હતું.
ડો. વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત ઈસરોના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા સંયુક્તપણે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સારાભાઈની જન્મશતાબ્દીની સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારી ઊજવણીની શરૂઆત થઈ છે. મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે કારણ કે ચંદ્રયાન-૨ થોડા જ દિવસોમાં ચંદ્ર ઉપર પહોંચશે. ચંદ્રયાન-૨નું વિક્રમ લેન્ડર ચંદ્ર ઉપર ઉતરાણ કરશે તે ઘટના ૧૩૦ કરોડ ભારતીયોની વિક્રમ સારાભાઈને યોગ્ય શ્રદ્ધાંજલિ હશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વિક્રમ સારાભાઈનો અભિપ્રાય હતો કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા જોઈએ. તેમના પ્રયત્નોના કારણે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે મહત્ત્વનો દેશ બન્યો છે. જેના કારણે અવકાશ વિજ્ઞાન અને પરમાણુ ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે માનવહિતમાં થઈ રહ્યો છે.
ડો. સારાભાઈના શરૂઆતના દિવસો યાદ કરતાં તેમણે કહ્યું હતું કે કેરલના થુમ્બામાં ૧૯૬૦ના દાયકામાં વિક્રમ સારાભાઈએ સૌ પ્રથમ રોકેટ લોન્ચ કર્યું હતું. આ ઘટના અને સંશોધને ભારતમાં રોકેટ વિજ્ઞાનનો પાયો નાંખ્યો અને આજે પણ ચંદ્ર અને મંગળના મિશનમાં આ ટેકનોલોજીનો સંદર્ભ લેવાય છે.