તેજાબી કલમકાર, આજીવન શિક્ષક લેખક નગીનદાસ સંઘવીનું નિધન

Wednesday 15th July 2020 05:23 EDT
 
 

સુરતઃ કટાર લેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું ૧૧મી જુલાઈએ ૧૦૦ વર્ષની વયે સુરતમાં નિધન થયું છે. ગુજરાતના અખબાર અને સામાયિકમાં પ્રસિદ્ધ થતી ‘તડ ને ફડ’ કોલમના લેખક અને પ્રખર રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવીને ઉધરસની અને શ્વાસની સમસ્યા ઘેરી વળી હતી. ઉલ્લેખનીય છે કે ૧૦ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૦૦મા જન્મદિને નગીનદાસ સંઘવીએ મૃત્યુની ઊજવણી કરવાનું લખ્યું હતું. જ્ઞાનમાં ઊંડાણ અને હૃદયમાં વિશાળતા ધરાવનાર નગીનદાસ સંઘવીનો જન્મ ૧૦ માર્ચ, ૧૯૨૦ના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે કપોળ વણિક પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ અનેક પ્રકારના અભાવોની વચ્ચે વીત્યું.
નવી પેઢીમાં નગીનબાપાના લાડકા નામે જાણીતા બનેલા નગીનભાઇએ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સના વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ભારત દેશ આઝાદ થયો એ વર્ષે એટલે કે ૧૯૪૭માં તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. બાદમાં તેઓ મુંબઇની મીઠીબાઇ કોલેજમાં ઇતિહાસના અધ્યાપક બન્યા અને પોલિટિકલ સાયન્સ વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા.
ત્રીસેક વર્ષ અધ્યાપનકાર્ય બાદ નિવૃત્તિ પછી નગીનભાઇએ ૧૯૬૨થી ગુજરાતના વિવિધ અખબારો અને સામયિકોમાં કટાર લેખનની શરૂઆત કરી હતી. તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ લેખનકાર્યમાં સક્રિય રહ્યા.
જીવનભર નાસ્તિક રહેલા નગીનભાઇએ ધર્મશાસ્ત્રોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમના બહુચર્ચિત પુસ્તકોમાં ‘રામાયણ’, ‘મહાત્મા ગાંધી’, ‘સરદાર પટેલ’ અને ‘નરેન્દ્ર મોદી’નો સમાવેશ થાય છે. ઊંડા અભ્યાસના આધારે તેમણે ‘યોગનો ઇતિહાસ’ અને, ‘ગીતાવિમર્શ’ અને ‘મહામાનવ કૃષ્ણ’ સહિત કુલ ૧૮ પુસ્તકો લખ્યાં અને વિક્રમી કહી શકાય એટલી સંખ્યામાં ૨૯ પરિચય પુસ્તિકાઓ લખી. વર્ષ ૨૦૧૯માં નગીનભાઇને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદી, મુખ્ય પ્રધાન રૂપાણી સહિતના વાચકો ભાવકો દ્વારા શ્રદ્વાંજલિ
વડા પ્રધાન મોદી, મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવો સહિત વાચકો - ભાવકોએ આ તેજાબી કલમકારને શ્રદ્વાંજલિ પાઠવી હતી.
મોદીએ ટ્વિટ કર્યું કે, શ્રી નગીનદાસ સંધવી પ્રબુદ્વ લેખર-વિચારક હતા. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ એ તત્ત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય. એમના અવસાનની દુઃખની લાગણી અનુભવું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમક્ષીક ગણાવ્યા હતા.
નગીનદાસ સંઘવીના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં ખજાનચી અને રાજયસભા સાંસદશ્રી અહમદભાઇ પટેલે જણાવ્યું હતું કે, નગીનદાસ સંઘવી પોલિટિકલ સાયન્સનાં પ્રાધ્યાપક તરીકે ઉત્તમ કામગીરી સાથે ઉત્તમ કોટિના લેખન સાથે જોડાયેલા હતા. તેમનું લખાણ અપ્રતિમ હતું.
(સ્વ. નગીનદાસ સંઘવી સાથેના સંસ્મરણો વાગોળે છે લોર્ડ ડોલર પોપટ, લોર્ડ પ્રો. ભીખુ પારેખ અને હસુ માણેક - વાંચો ગુજરાત સમાચાર -  પાન ૧૪. ઈશ્યુ - ૧૮-૭-૨૦૨૦)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter