અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીર, તેમજ લેહ-લદાખની ૨૮ બાળાઓ તાજેતરમાં શહેરની મુલાકાતે આવી હતી. આ બાળાઓએ કાશ્મીરની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, છાશવારે તોફાનોથી કરફ્યુ લાદવામાં આવે છે. જેને કારણે ઘણી વાર મહિનાના ૨૦થી ૨૫ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થતું નથી. ઘણા સ્થળે આર્મીની હાજરીમાં સ્કૂલો ચલાવવી પડે છે. જોકે આ બાળાઓએ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે કાશ્મીરમાં આતંકવાદથી સ્થિતિ બદતર છે, પણ સૈન્યની હાજરીથી ડર લાગતો નથી.
આ તમામ બાળાઓ એકલ વિદ્યાલય નામની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને અભ્યાસના ભાગરૂપે અમદાવાદના શૈક્ષણિક પ્રવાસે આવી હતી.
એક વિદ્યાર્થિની કાજલ શર્માએ જણાવ્યું કે, ‘હું
જમ્મુમાં રહું છું. એક દિવસ મારા ગામમાં આતંકવાદી હુમલો થયો. જેમાં મારા પિતાને પણ ગોળી વાગી. પહેલાના સમયે જ્યારે આતંકવાદીઓનો હુમલો થતો હતો તો અમે ડરી જતા હતા પરંતુ હવે ગામના લોકોમાં ડર નથી.’
પહેલા હોસ્ટેલથી ઘરે જતા પણ અમને બહુ ડર લાગતો હતો. પરંતુ આર્મીને કારણે ડર નથી લાગતો, એમ તેણે ઉમેર્યું હતું.