ગાંધીનગરઃ વિધાનસભાની ખાલી પડેલી નવ પૈકી થરાદ, ખેરાળુ, અમરાઈવાડી અને લુણાવાડા એમ ચાર બેઠકો માટે પેટાચૂંટણીઓની જાહેરાત પછી કેન્દ્રિય ચૂંટણીપંચે વધુ બે બેઠકો રાધનપુર અને બાયડ બેઠકો પર પણ ૨૧મી ઓક્ટોબરે પેટચૂંટણી યોજાશે એવી જાહેરાત કરી હતી. ભારતના ચૂંટણીપંચે ૨૧મીએ મહારાષ્ટ્ર અને હરિયાણામાં સામાન્ય ચૂંટણીનું એલાન કર્યું હતું. તેની સાથે ગુજરાતની ચારેય બેઠકોમાં ૨૧ ઓક્ટોબરે મતદાન અને ૨૪મીએ પરિણામનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. એપ્રિલમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા બાદ થરાદ, ખેરાળુ, અમરાઈવાડી અને લુણાવાડાના ધારાસભ્યોએ જૂનના પ્રથમ સપ્તાહે રાજીનામાં આપ્યા હતા. ચૂંટણીપંચની આ જાહેરાત સાથે જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ૧૮૨ પૈકી ૯ બેઠકો હાલમાં ખાલી છે. તાલાળા અને દ્વારકા વિધાનસભા એમ બે બેઠકો ઉપર પેટાચૂંટણી યોજવા સામે સુપ્રીમ કોર્ટે પહેલેથી મનાઈ હુકમ આપ્યા છે. આથી, ચૂંટણીપંચ અન્ય રાજ્યોમાં સામાન્ય ચૂંટણી સાથે ગુજરાતમાં ૭ બેઠકો ઉપર પેટાચૂંટણી જાહેર કરશે એમ માનવામાં આવતું હતું. પરંતુ, પંચે સાત પૈકી પહેલાં ચાર અને પછીથી રાધનપુર અને બાયડ બેઠક પર ચૂંટણી જાહેર કરતાં રાજકારણમાં કેટલીય અટકળોને વેગ મળ્યો છે.
મોરવા હડફમાં જાતિના પ્રમાણપત્ર રદ થતાં અપક્ષનું ધારાસભ્યપદ રદ થયું હતું. તેની સામે ભૂપેન્દ્ર ખાંટે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરીને રાધનપુર અને બાયડના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસે હાઈ કોર્ટમાં છ વર્ષ માટે ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવા દાદ માગી હતી.
રાધનપુર, બાયડમાં પાછળથી જાહેરાત
ભારતના મુખ્ય ચૂંટણી પંચે રાધનપુર અને બાયડમાં પેટાચૂંટણી પહેલાં જાહેર ન કરતા કોંગ્રેસથી ભાજપમાં ઉતરેલા પેરાશૂટરોના જીવ અદ્ધર લટક્યા હતા. વિધાનસભામાં ખાલી પડેલી ૯ પૈકી બેને બાદ કરતાં ૭ બેઠકો પેટાચૂંટણી યોજાઈ શકે તેમ હોવા છતાં ચૂંટણીપંચે ૨૧મીએ માત્ર ચાર બેઠકો માટે જ કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેથી પહેલાં રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલાના મનસૂબા પર બ્રેક વાગી હતી. જોકે ભાજપમાં ભળ્યા પછી બંનેનું પ્રધાનપદનું સ્વપ્નું તો સાકાર થયું નથી, હવે અલ્પેશ ઠાકોર માટે આ પેટાચૂંટણી શું લાવે છે તે જોવું રહ્યું? ઉલ્લેખનીય છે કે હાઈ કોર્ટમાં
અલ્પેશ-ધવલને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવા કોંગ્રેસની પીટિશન અંગે પણ અટકળો વહેતી
થઈ છે.
એકાએક રાધનપુર, બાયડની ચૂંટણી જાહેર
૨૧મીએ કેન્દ્રિય ચૂંટણીપંચે ચાર વિધાનસભા બેઠકોની જાહેર કરી હતી. કુલ મળીને ૬ બેઠકોની પેટાચૂંટણી એકસાથે યોજાનાર છે. પહેલાં માત્ર ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર કરતાં વિપક્ષે કેન્દ્રિય ચૂંટણીપંચ સામે સવાલો ઉઠાવ્યા હતા. હવે ગુજરાતની કુલ છ બેઠકો માટે ૨૧મી ઓક્ટોબરે મતદાન યોજાશે જ્યારે ૨૪મીએ મતગણતરી યોજાનાર છે. પેટાચૂંટણી જાહેર થતાં જ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.